મુંબઈમાં ૧૧ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી વડોદરાથી ત્રણ જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત ૧૧ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકીનો ઇમેઇલ મોકલવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જણને વડોદરાથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ખિલાફત ઇન્ડિયાની આઇડી પરથી મોકલેલા ઇમેઇલમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ અને કેન્દ્રી નાણાપ્રધાન નિર્મલા સીતારામનનાં રાજીનામાંની માગણી કરી હતી અને તેઓ રાજીનામા ન આપે તો બપોરના દોઢ વાગ્યા બાદ બોમ્બબ્લાસ્ટ થશે, એવી ધમકી આપી હતી.
ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડેલા ત્રણેયની ઓળખ મોહંમદ અરશીલ મોહંમદ ઇકબાલ તુપાલા (૨૭), તેના સાળા વસીમ રઝા અબ્દુલ રઝાક મેમન (૩૫) અને તેના મિત્ર આદિલ રફીક મલિક (૨૩) તરીકે થઇ હતી. મોહંમદ અરશીલે બીબીએ (બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન) કરી ચૂક્યો છે અને તે શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરે છે. વસીમ મેમન પાનની દુકાન ધરાવે છે અને આદિલ મલિક ઇંડાંની દુકાનમાં કામ કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર મોહંમદ અરશીલે ઇમેઇલ આઇડી બનાવવા પોતાના મોબાઇલનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં ધમકીભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આદિલ મલિકે બોગસ દસ્તાવેજોને આધારે સિમકાર્ડ મેળવ્યું હતું
અને બાદમાં તે અરશીલને આપ્યું હતું. ત્રણેય જણની પૂછપરછમાં તેમણે મજાક ખાતર ઇમેઇલ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ત્રણેયને મુંબઈ લવાયા બાદ વધુ તપાસ માટે તેમને એમઆરએ માર્ગ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે ગુનો દાખલ કરાયો હતો.
આરબીઆઇને મંગળવારે સવારના ૧૦.૫૦ વાગ્યે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે અમે મુંબઈમાં ૧૧ સ્થળે બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આરબીઆઇ અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે, જેમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસ, નિર્મલા સીતારામન તથા અન્ય લોકો સંકળાયેલા છે.
આરબીઆઇનું ફોર્ટ સ્થિત કાર્યાલય, ચર્ચગેટનું એચડીએફસી હાઉસ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક ટાવર્સમાં બોમ્બ મુકાયા હોવાનું ઇમેઇલમાં જણાવીને સીતારામન અને દાસનાં રાજીનામાંની માગણી કરવામાં આવી હતી અને માગણી પૂરી ન થાય તો બપોરે દોઢ વાગ્યા બાદ બોમ્બબ્લાસ્ટ થશે, એવી ધમકી અપાઇ હતી.