…તો મુંબઈનો મેયર ભાજપનો હોત: ફડણવીસ પહેલી વખત બોલ્યા
મરાઠી લોકો અમારી સાથે છે, બિનમરાઠી લોકો પણ અમારી સાથે છે: હું શું પંજાબી છું, ગુજરાતી છું? ફડણવીસનો ઠાકરેને ટોણો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ મનપા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ તોફાની બન્યું છે. વિશ્ર્વની સૌથી શ્રીમંત મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈમાં સત્તા મેળવવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેમાં, બંને ઠાકરે ભાઈઓ પ્રાદેશિક ઓળખ અને મરાઠી ભાષાના મુદ્દે 20 વર્ષ બાદ પહેલીવાર એક સાથે આવતા જોવા મળે છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મરાઠી લોકોના મત પ્રભાવિત થતાં ભાજપને નુકસાન થશે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મરાઠી મતોના રાજકારણના મુદ્દે ઠાકરે ભાઈઓની ટીકા કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જો ઠાકરે મરાઠી છે, તો હું શું પંજાબી છું, ગુજરાતી છું, હું પણ મરાઠી છું. મારી પાર્ટીના મુંબઈ પ્રમુખ આશિષ શેલાર છે. તેઓ શું ગુજરાત કે આંધ્રપ્રદેશથી આવ્યા છે, તેથી મરાઠી મતો પર કોઈનો એકાધિકાર નથી. લોકોએ અમને ગઈ વખતે મત આપ્યો કારણ કે અમે સારું કામ કર્યું હતું અને તેમણે આજે પણ તે જ કર્યું છે. મરાઠી લોકો અમારી સાથે છે, બિન-મરાઠી લોકો અમારી સાથે છે. તેથી, જ્યાં સુધી અમે સારું કામ કરીશું, ત્યાં સુધી લોકો અમને મત આપશે, એમ તેમણે એક મરાઠી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
તે ઉપરાંત, ફડણવીસે રાજ ઠાકરેના મનસે સાથેના જોડાણ પર પણ ટિપ્પણી કરી હતી. હવે અમારું જોડાણ ભાજપ-સાચી શિવસેના-સાચી એનસીપી સાથે છે. તે સિવાય, અમારું કોઈની સાથે જોડાણ નથી. ધારો કે, જો કોઈ અમારી સાથે આવે અને અમે બધા સાથે મળીને નિર્ણય લેવા માગીએ, તો અમે તેનું સ્વાગત કરીશું, પરંતુ અમે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી, એમ ફડણવીસે કહ્યું હતું.
આપણ વાંચો ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે
…તો ભાજપનો મેયર બન્યો હોત’
2017 માં મુંબઈમાં ભાજપનો મેયર બનાવવાની તક મળી હતી. અમે લગભગ આંકડાઓ ભેગા કરી નાખ્યા હતા, પરંતુ તે સમયે 3-4 લોકોએ ઉદ્ધવ ઠાકરે સાથે અમારી સાથે વાત કરાવી હતી. આ (મુંબઈમાં મેયરપદ) અમારા માટે ભાવનાત્મક મુદ્દો છે એમ કહીને તેમણે અમને તે છોડી દેવા કહ્યું હતું. તે સમયે, અમે પણ વિચાર્યું કે, અમે એક મોટા હેતુ માટે સાથે (રાજ્યની સરકારમાં) કામ કરી રહ્યા છીએ, તેથી અમે ફક્ત મેયરનું જ પદ છોડ્યું નહોતું, બધા જ પદો તેમને સોંપી દીધા હતા તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવા આપી હતી. અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોકીદાર તરીકે કામ કરવાનું નક્કી કર્યું હતું. જો તે સમયે અમે ઈચ્છા રાખી હોત તો 100 ટકા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેયર બનાવી શક્યા હોત, પરંતુ રાજકારણમાં જો-તોનો કોઈ અર્થ બચતો નથી, એમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.