આમચી મુંબઈ

ચાર રાજ્યનાં પરિણામોની ફળશ્રુતિ મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે

મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનો દબદબો વધશે

આનંદો: ત્રણ રાજ્યમાં ભાજપના થયેલા વિજય બાદ પક્ષના કાર્યકરોએ જોરદાર ઉજવણી કરી હતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાર રાજ્યોના પરિણામો આવ્યા તેની મહારાષ્ટ્ર પર કેવી અસર થશે એની ચર્ચા રવિવારે આખો દિવસ રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી. એક વાક્યમાં કહેવું હોય તો આ પરિણામો ભાજપ અને એનસીપી (શરદ પવાર જૂથ) માટે અત્યંત પ્રોત્સાહક છે, કેમ કે હવે આગામી લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં બંને પક્ષનો બાર્ગેનિંગ પાવર વધી જશે.

ચાર રાજ્યોના પરિણામો રવિવારે જાહેર થયા તેમાં ત્રણ રાજ્યોમાં (હિન્દી બેલ્ટમાં) ભાજપનો ભવ્ય વિજય થયો છે અને એકલે હાથે ભાજપ સરકાર ગઠન કરી શકે એવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ કૉંગ્રેસ ફક્ત તેલંગણામાં બહુમતનો આંકડો પાર કરી શક્યું છે. અન્ય રાજ્યોના પરિણામોની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર થવાની શક્યતા છે અને આવતા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે તેમાં આ પરિણામોની કેટલી અસર થશે તેના પર રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીની લડાઈ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એક્ઝિટ પોલ નિષ્ફળ થયા છે. છત્તીસગઢનું પરિણામ પણ અનપેક્ષિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ચારેય રાજ્યમાં મોદી બ્રાન્ડનો પ્રભાવ જોવા મળ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભાજપની સ્થિતિ ગુંચવાયેલી હતી. હવે તેમના આત્મવિશ્ર્વાસને નવું જોમ મળશે. આગામી ચૂંટણીઓમાં ભાજપ વધુ જગ્યા પર પોતાનો દાવો માંડી શકશે. તેમ જ મરાઠા આંદોલનના મુદ્દા પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો જે પ્રભાવ વધ્યો હતો, પરંતુ અત્યારે પણ દેશમાં ભાજપની લહેર છે એવી લાગણી તેમનામાં ફરી જન્મી શકે છે અને મરાઠા આરક્ષણના મુદ્દાને કારણે જે સેટ-બેક આવ્યો હતો તે દૂર થશે એવી શક્યતા એક રાજકીય વિશ્ર્લેશકે વ્યક્ત કરી હતી.

ચૂંટણીના પરિણામોને કારણે ભાજપનો જુસ્સો વધશે અને આગામી ચૂંટણીમાં ભાજપ વધુમાં વધુ બેઠકો પર પોતાનો દાવો માંડશે. આવી જ રીતે આગામી દિવસોમાં ભાજપ વધુ આક્રમક વલણ અપનાવી શકે છે. બેઠકોની વહેંચણીમાં ભાજપનો બાર્ગેનિંગ પાવર વધશે. એકનાથ શિંદે અને અજિત પવારને હવે ભાજપની સામે નમતું જોખવાની ફરજ પડશે, એવું તેમણે જણાવ્યું હતું.
ચાર રાજ્યના ચૂંટણી પ્રચારમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રચારસભા સંબોધી હતી અને તેનો રાજકીય લાભ તેમને મળશે. આવી જ રીતે કેન્દ્રીય નેતૃત્વનો તેમના પરનો વિશ્ર્વાસ વધશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી જે રીતે દેવેન્દ્ર ફડણવીસ સાવચેતીનું વલણ અપનાવી રહ્યા હતા, ખાસ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારના સરકારમાં સમાવેશ બાદ તે સ્થિતિમાં ફરક જોવા મળશે. ફડણવીસમાં નવી ઊર્જા જોવા મળી શકે છે અને એકનાથ શિંદેએ ભાજપની વાત સાંભળવી પડે તેવું ચિત્ર આગામી દિવસોમાં જોવા મળી શકે છે, એમ અન્ય એક રાજકીય વિશ્ર્લેશકે કહ્યું હતું.

ચાર રાજ્યના પરિણામોની કોઈ અસર મહારાષ્ટ્રમાં જોવા મળશે નહીં એમ જણાવતાં અન્ય એક રાજકીય નિરીક્ષકે કહ્યું હતું કે કાર્યકર્તા અને નેતામાં આને કારણે ચોક્કસ જોશ જોવા મળી શકે છે, પરંતુ તેનાથી વધુ આની કોઈ અસર જોવા મળશે નહીં. દરેક રાજ્યની સ્થિતિ અને સમીકરણો અલગ અલગ હોય છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના વિજયમાં મોદી બ્રાન્ડનું યોગદાન ચોક્કસ માન્ય રાખવું પડશે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે. આમાં કશું નવું નથી. જોકે ભાજપ ચોક્કસ આ પરિણામોનો ઉપયોગ પોતાનો હાથ ઉપર રાખવા માટે કરશે.

ઈન્ડિયા ગઠબંધન પર આ પરિણામોની અસર પર વાત કરવામાં આવે તો ભલે એનસીપી સુપ્રીમો શરદ પવારે આ પરિણામોની કોઈ અસર નહીં થાય એવું કહ્યું હોય, પરંતુ આ પરિણામો બાદ હવે એનસીપીને ફાયદો થશે. ઈન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસનું વજન ઘટતું જોવા મળશે. તેલંગણામાં વિજયને કારણે તેઓ નેતૃત્વ જાળવી શકશે, પરંતુ તેમની બાર્ગેનિંગ ક્ષમતામાં ઘટાડો થશે અને રાજ્યમાં તેનો સીધો ફાયદો એનસીપીને થશે. સામે પક્ષે ભાજપનું વજન વધતાં અજિત પવારનું વજન ઘટશે અને તેનું પણ આડકતરું ફળ શરદ પવારને મળશે. તેઓ હવે રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધનના નિર્ણયો પર પોતાની છાપ છોડતા જોવા મળશે.

‘પહેલા જીત, અંતે હાર’
વર્લ્ડ કપ જેવા હાલ ભાજપના થશે: સંજય રાઉત
મુંબઈ: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઇ છે, જ્યારે ફક્ત તેલંગણામાં કોંગ્રેસની જીત થઇ છે. તેમ છતાં વર્લ્ડ કપ વખતે ટીમ ઈન્ડિયા ૧૦ વખત વિજયી બન્યું હતું, પરંતુ ફાઈનલમાં હારી ગયું હતું એવો જ હાલ ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપનો થશે, એમ સંજય રાઉતે કહ્યું હતું. કોંગ્રેસની હાર સાથે મોટા મોટા નેતાઓઓના નિવેદનો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સ્ફોટક નિવેદન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસને પણ મોટી સલાહ આપી હતી.

સંજય રાઉતે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની હાર માટે કમલનાથને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેલંગણામાં એઆઈએમઆઈએમ ફેક્ટર અને કેસીઆર કામ આવ્યા નથી, જ્યારે રાજસ્થાનમાં ભાજપની જીત મુદ્દે કહ્યું હતું કે અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, જે વર્ષોની પરંપરા રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની હાર મુદ્દે સંજય રાઉતે કહ્યું કે આ હાર માટે કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાનું જરૂરી છે.

મધ્ય પ્રદેશમાં ભાજપની જીત માટે તેનું શ્રેય શિવરાજ સિંહ ચૌહાણને આપ્યું હતું. તેમણે ચૂંટણી પહેલા મહિલાઓના લાભ માટે શરૂ કરેલી યોજનાઓથી ભાજપને ફાયદો થયો છે.
દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રાદેશિક પાર્ટી મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસ ઈન્ડિયાના ઘટક પક્ષો સાથે લડી હોત તો સ્થિતિ વધુ સારી હોત. ફક્ત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પ્રચારથી કંઈ થાય નહીં. પ્રાદેશિક પાર્ટી સામે નજરઅંદાજ કરીને તમે રાજકારણ રમી શકો નહીં.

સંજય રાઉતે વધુ કહ્યું હતું કે છઠ્ઠી ડિસેમ્બરે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા અલાયન્સના સાથી પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં અનેક બાબતોને લઈ ચર્ચા કરવામાં આવશે. ઈન્ડિયા અલાયન્સ મજબૂત છે.

લોકોએ મોદીની નીતિઓને સમર્થન આપ્યું છે: ગડકરી
ગાંધીનગર: ચાર રાજ્યોની તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીનાં પરિણામોમાં ત્રણ રાજ્યો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જનતાએ ભાજપને બહુમતી આપતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે જણાવ્યું હતું કેલોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને ટેકો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. આ લખાય છે ત્યારે ચાલી રહેલી મત ગણતરી મુજબ, ત્રણ રાજ્યોમાં ભાજપ બહુમતી બેઠકો પર આગળ છે અને તેલંગણા, જ્યાં કૉંગ્રેસ સત્તાધારી ભારત રાષ્ટ્ર સમિતિથી આગળ છે.

ડબલ એન્જિન સરકારના સ્થાપનને કારણે છત્તીસગઢ, એમપી અને રાજસ્થાનમાં ઝડપી વિકાસ જોવા મળશે તેવું ભારપૂર્વક જણાવતા ગડકરીએ પરિણામો માટે મોદી, ભાજપના વડા જેપી નડ્ડા અને સ્થાનિક પાર્ટી નેતૃત્વ તેમજ કાર્યકરોની પ્રશંસા કરી હતી. મતગણતરીના દિવસ પહેલા જીતના કૉંગ્રેસના દાવાઓને બાજુ પર રાખીને ગડકરીએ કહ્યું કે લોકોએ ભાજપને તેમનો ટેકો ખૂબ જ સ્પષ્ટ કરી દીધો છે, જે દેશના ભવિષ્ય માટે વધુ સારું હશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અહીં ૮૩મી ભારતીય રોડ કૉંગ્રેસમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

મહાયુતિ મહારાષ્ટ્રમાં લોકસભા – વિધાનસભામાં મેદાન મારશે: બાવનકુળે
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને સરસાઈ મળતા આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં ‘મહાયુતિ’ને મહારાષ્ટ્રમાં ૪૫થી વધુ બેઠકો મળશે, એવો આત્મવિશ્ર્વાસ મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રવિવારે વ્યક્ત કર્યો હતો.

નાગપુરમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે શાસક ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના તેમજ એનસીપી (અજિત પવાર જૂથ)ની મહાયુતિ ૨૦૨૪માં થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અંદાજે ૨૨૫ બેઠક પર વિજય મેળવશે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે સારી સરસાઈ મેળવી છે જ્યારે તેલંગણામાં કૉંગ્રેસની સરસાઈ છે. નાગપુરમાં ફટાકડા ફોડી ભાજપ કાર્યકર્તાઓએ વિજયની ખુશાલી મનાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરીનું જનતાએ સમર્થન કર્યું એ બદલ પક્ષના કાર્યકરો ખુશ છે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

‘મન મન મોદી’: મુખ્ય પ્રધાન
મુંબઈ: દેશના ચાર રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢમાંથી ત્રણ રાજ્યમાં ભાજપના થયેલા વિજય પર આનંદ વ્યક્ત કરતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પહેલાનું ‘ઘર ઘર મોદી’નું સૂત્ર હવે બદલાઇને ‘મન મન મોદી’ થઈ ગયું છે. શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ફરી સાબિત થઈ ગયું છે કે લોકપ્રિયતામાં મોદી નંબર વન છે. કેટલાક
લોકો કહી રહ્યા છે કે મોદીનો ચમત્કાર સમાપ્ત થઈ ગયો છે. આવું કહી મોદીને બદનામ કરવાના પ્રયાસો થઇ રહહ્યા છે. આ ચૂંટણીમાં લોકોએ મોદીને સમર્થન આપ્યું છે. ફરી એક વખત મોદી લોકપ્રિયતામાં નંબર વન હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ ગાંધીએ વિદેશમાં દેશને બદનામ કર્યો. મોદીને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધન એકસાથે આવ્યું હતું, પણ નિષ્ફળ રહ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા આખું વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન બનીને સાથે આવ્યું છે. પણ મોદીજી દ્વારા કરવામાં આવેલા કામો અને અમિત શાહની યોજનાને કારણે એનડીએ ગઠબંધનને ચૂંટણીમાં મોટી સફળતા મળી છે. ઘર ઘર મોદી અને મન મન મોદીનું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે જેને જનતાએ સાથ આપ્યો છે. મોદીની લોકપ્રિયતા દુનિયાના શિખરે પહોંચી ગઈ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

શિંદેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું પણ તે પૂરું કર્યું નહીં. પણ મોદી-શાહ દ્વારા કરવામાં આવેલા કામકાજને કારણે આજે તેમને સફળતા મળી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો