મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ
*મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલા બે પક્ષો વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત
*ભાજપના નેતાઓએ વાત સાંભળી ન હોવાની ગણપત ગાયકવાડની ફરિયાદ
- મુખ્ય પ્રધાનના પુત્ર શ્રીકાંત શિંદેની આક્રમકતાને કારણે ભાજપના નેતાઓ અસ્વસ્થ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ અને શિંદે સેના વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના સંકેત ઉલ્હાસનગરમાં પોેલીસ સ્ટેશનની અંદર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પછી સ્પષ્ટ થયું છે. અત્યારે આવી સ્થિતિ થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જોવા મળ્યો હોવા છતાં રાજ્યના અનેક તાલુકામાં આવી જ સ્થિતિ હોવાનું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સત્તાવાર રીતે મહેશ ગાયકવાડ પર વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર માટે પોલીસે પ્રાથમિક કારણ એવું દર્શાવ્યું હતું કે જમીનના વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, વાસ્તવમાં આ હુમલા પાછળનું કારણ જમીનનો વિવાદ નહીં મહેશ ગાયકવાડની વધી રહેલી રાજકીય મહત્વાકાંક્ષા હતી, એવું ભાજપના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
વાસ્તવમાં મહેશ ગાયકવાડ એકનાથ શિંદેના જૂથનો ભૂતપૂર્વ નગરસેવક છે અને તેને કલ્યાણ પૂર્વની જે બેઠક પરથી ગણપત ગાયકવાડ વિધાનસભ્ય છે તે બેઠક પરથી ઉમેદવારી આપવાની ખાતરી શ્રીકાંત શિંદે દ્વારા આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાનના પુત્ર દ્વારા જે રીતે ભાજપના મતદારસંઘો પર નજર બગાડવામાં આવી રહી છે તેની ફરિયાદ ભાજપના મોવડીમંડળને ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું.
સંસદસભ્ય શ્રીકાંત શિંદેની શહ પર મહેશ ગાયકવાડ વિધાનસભ્ય ગણપત ગાયકવાડના મતદાર સંઘોમાં અનેક કામો કરાવી રહ્યો હતો અને તેને કારણે ભાજપના વર્તુળમાં અસ્વસ્થતા હતી. ગણપત ગાયકવાડને પોતાનું રાજકીય ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું હતું, કેમ કે શ્રીકાંત શિંદે માટે કલ્યાણની લોકસભાની બેઠકનું બલિદાન કરનારો તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં કલ્યાણ પૂર્વ વિધાનસભાની બેઠકનું પણ બલિદાન કરી નાખે તો તેનું રાજકીય ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતા હતી અને તેથી જ ગણપતને મહેશ પર ભારે ગુસ્સો હતો.
ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનની અંદર જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શહ પામેલા મહેશ ગાયકવાડના કાર્યકર્તાઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો અને તેમણે ગોળીબાર કરી નાખ્યો હતો.
પોતાના કૃત્યને કબૂલ કરતાં તેમણે શ્રીકાંત શિંદેની દાદાગીરી અને ભાજપના નેતાઓના મૌન અંગે ટિપ્પણી કરી હતી એના પરથી કેટલી હદે તેમનામાં ધુંધવાટ હતો તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ રાજ્યના અનેક મતદારસંઘોમાં ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓમાં આવો ધુંધવાટ જોવા મળી રહ્યો છે, કેમ કે શિંદે સેના દરેક મતદારસંઘમાં આક્રમક રીતે કામ કરી રહી છે અને ભાજપના જનપ્રતિનિધિઓની હાલત કફોડી થઈ રહી છે. તત્કાળ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપ-શિંદે સેના વચ્ચે શેરી યુદ્ધો થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગણપત ગાયકવાડ વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો
કોર્ટ બહાર હંગામો કરી સૂત્રોચ્ચાર બદલ ૪૦ સમર્થક સામે ગુનો
થાણે: ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ હવે એસસીએસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દ્વારલી ગામમાં રહેતી મહિલાની ફરિયાદને આધારે હિલલાઈન પોલીસે આ ગુનો નોંધ્યો હતો. ૩૧ જાન્યુઆરીએ વિવાદિત જમીન પર વિધાનસભ્ય ગણપત ગાયકવાડ તેના સમર્થકો સાથે આવ્યો હતો. મહિલા સાથે થયેલી બોલાચાલી બાદ તેના માટે જાતીવાચક ટિપ્પણી કરવામાં આવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. હિલલાઈન પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની કૅબિનમાં શુક્રવારની રાતે ગણપત ગાયકવાડે કલ્યાણના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને તેના સાથી પર ગોળીબાર કર્યો હતો. ગાયકવાડે છ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ ઘટનામાં મહેશ ગાયકવાડ અને તેનો સાથી જખમી થયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણપત ગાયકવાડ સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વિધાનસભ્ય અને અન્ય સાત જણ વિરુદ્ધ મહિલાની ફરિયાદને આધારે શનિવારે હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલાના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છેે. ફરિયાદી મહિલા વિવાદિત જમીનની માલિક હોવાનું પોલીસનું કહેવું છે.
દરમિયાન ધરપકડ બાદ શનિવારે સાંજે વિધાનસભ્ય ગણપત ગાયકવાડને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે તેના સમર્થકોએ કોર્ટ બહાર ભારે હોબાળો મચાચી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગોળીબારની ઘટના બાદ ઉલ્હાસનગરમાં તંગદિલીભર્યા વાતાવરણને પગલે પોલીસે કોર્ટ બહાર એકઠા થવા પર પ્રતિબંધનો આદેશ બહાર પાડ્યો હતો. આદેશને અવગણી સમર્થકો એકઠા થતાં પોલીસે ૪૦ જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ૧૧ જણને ઓળખી કાઢવામાં આવ્યા હોવાથી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. (પીટીઆઈ)