વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનની ક્ષમતા ૧૨૦ મિ.મી. સુધીની બનશે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. ૨૬મેના થયેલી અતિવૃષ્ટિને પગલે ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણી બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે વરસાદી પાણીનો નિકાલ કરનારી ડ્રેનેજ લાઈનને પહોળી કરવાનો નિર્ણય લીધો છે. આ ડ્રેનેજ લાઈનની ક્ષમતા ૧૨૦ મિલીમીટર વરસાદ સુધીની વધારવામાં આવવાની છે. હાલમાં ડ્રેનેજ લાઈનની ક્ષમતા પ્રતિકલાકની માત્ર પંચાવન મિ.મી. વરસાદી પાણીનો નિકાલ કરવાની છે, જેને કારણે વર્ષોથી મુંબઈમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સામાન્ય મુંબઈગરાને કરવો પડયો છે.
મુંબઈમાં આ વર્ષે જૂનને બદલે ૨૬મેના જ સમય કરતા વહેલું ચોમાસાનું આગમન થયું છે. વરસાદ જલદી આવવાની સાથે જ માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર કહેવાય એમ ૨૦૦ મિ.મી. જેટલો વરસ્યો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે તેમાં પાલિકાની તમામ તૈયારીઓમાં ગંભીર ખામીઓ જણાઈ આવી હતી. ફક્ત દક્ષિણ મુંબઈમાં જ ૮૦ નવા સ્થળોએ પાણી ભરાયા હોવાનું બહાર આવ્યું છે. પાલિકાના અધિકારીઓએ પૂરજનક પરિસ્થિતિ માટે હાલની ડ્રેનેજ લાઈનની અપૂરતી ક્ષમતાને જવાબદાર ગણાવ્યું હતું. હાલની ડ્રેનેજ લાઈન ટૂંકા ગાળામાં પડનારા ભારે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ ન હોવાનું ફરી એક વખત જણાઈ આવ્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષોમાં વાતાવરણમાં થયેલા મોટા ફેરફારની સાથે જ વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે, જેને કારણે અનેક સમયે ટૂંકા ગાળામાં અમુક વિસ્તારોમાં જ ભારે વરસાદ પડી જતો હોય છે. અગાઉ મુખ્ય ડ્રેનેજ લાઈન (ગટર)ની પ્રતિ કલાક ૨૫ મિલીમીટર વરસાદના પાણીનો નિકાલ કરવાની ક્ષમતા રાખતી હતી. ૨૦૦૬માં મુંબઈમાં આવેલા વિનાશકારી પૂર બાદ આ નાળાઓનેે પ્રતિ કલાકની પંચાવન મિ.મી. વરસાદી પાણીનો નિકાલ કરી શકે તે મુજબ પહોળા કરવામાં આવ્યા હતા. જોકે હવે વરસાદ જે રીતે ટૂંકા ગાળામાં તીવ્ર સ્વરૂપનો વરસી જાય છે તેને જોતા હવે વરસાદી પાણીનો નિકાલ કરનારા નાળાઓની ક્ષમતા પ્રતિ કલાકની ૧૨૦ મિ.મી.વ રસાદ પાણીનો નિકાલ કરી શકે તેવા પહોળા કરવાની આવશ્યકતા નિર્માણ થઈ છે.
પાલિકા પ્રશાસને હવે દક્ષિણ મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી ગટરોનો વિગતવાર સર્વે કરવા માટે એક નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવાની છે, જે દરેક ગટર કેટલી હદ સુધી પહોળી કરવાની જરૂર છે, તેનો અભ્યાસ કરશે. એ સાથે જ તમામ ૨૪ વોર્ડના આસ્ટિન્ટ કમિશનરોને તેમના સંબંધિત વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમનો વિગતવાર અવલોકન અને મૂલ્યાંકન કરીને તેનો રિપોર્ટ સબમીટ કરવાની સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે મુંબઈમાં જટિલ ડ્રેનેજ નેટવર્ક છે, જેમાં ૨૬૧.૫૨ કિલોમીટરના મુખ્ય નાળા છે અને ૪૧૧.૫૬ કિલોમીટરના નાના નાળાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…લાડકી બહેન યોજના: બાવનકુળેએ ગેરકાયદે ભંડોળના ડાયવર્ઝનના આરોપો નકાર્યા