થાણેમાં મંગળવારને બદલે શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા-ભાયંદર મહાપાલિકા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ દરમ્યાન મંગળવારે અગાઉથી સ્ટેમ ઓથોરિટી દ્વારા થાણેમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. તેથી થાણેમાં મંગળવારે પાણીના ધાંધિયા થવાની શકયતાને ધ્યાનમાં રાખીને મંગળવારના બદલે હવે થાણેમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ મંગળવારે થાણેમાં સ્ટેમ ઓથોરિટી મારફત શટડાઉન કરવામાં આવવાનું હતું અને તે માટે મંગળવારે અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી જાહેરાત પણ અગાઉ કરી દેવામાં આવી હતી.
આપણ વાંચો: મુલુંડમાં શનિવારે ૧૨ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
આ દરમ્યાન મીરા-ભાયંદર પાલિકા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી એક જ દિવસમાં બે જગ્યાએ સમારકામ હાથ ધરવામાં આવે તો થાણેમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. તેથી મંગળવારનું કામ હવે શુક્રવાર, ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ કરવામાં આવવાનું છે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ શુક્રવારના શહાડમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મીટર બદલવાનું કામ અને પાઈપલાઈનમાં રહેલા ગળતરને બંધ કરવાનું કામ કરવામાં આવવાનું છે. તેથી શુક્રવારે સવારના નવ વાગ્યાથી શનિવાર સવારના નવ વાગ્યા સુધી થાણે શહેરનો પાણીપુરવઠો બંધ રહેશે. આ દરમ્યાન જોકે થાણે પાલિકાના પોતાના પાણીપુરવઠા યોજના અંતર્ગત થાણેમાં તબક્કાવાર પાણીપુરવઠો કરવામાં આવશે.
શુક્રવારે થાણેના ઘોડબંદર રોડ, પાતલીપાડા, બાલકુમ, બ્રહ્નાંડ, પવાર નગર, કોઠારી કમ્પાઉન્ડ, ડોંગરી પાડા, વાઘબીળમાં સવારના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે. તો સમતાનગર, ઋતુ પાર્ક, સિદ્ધેશ્ર્વર, ઈટરનિટી, જૉન્સન, જેલ વિસ્તાર, સાકેત, ઉથળસર, રેતી બંદર, કલવા અને મુંબ્રામાં શુક્રવાર રાતના નવ વાગ્યાથી શનિવાર સવારના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.