થાણેમાં માતાના મૃત્યુના કલાકો બાદ પુત્રીએ કરી આત્મહત્યા

થાણે: થાણેના કિસનનગર વિસ્તારમાં માતાના મૃત્યુના કલાકો બાદ 51 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર કિસનનગરમાં રહેતી વર્ષા શ્રીપાદ મોરેએ બુધવારે ઇમારતના ચોથા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
વર્ષાની 81 વર્ષની માતાનું બુધવારે રાતે બીમારીને કારણે મૃત્યુ થયું હતું, જેને પગલે પરિવારજનો અંતિમક્રિયાની તૈયારીમાં પડ્યા હતા, જ્યારે વર્ષા બીજી રૂમમાં હતી અને તેણે મોડી રાતે બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું.
શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી અને ડૉક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
શ્રીનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



