આમચી મુંબઈટોપ ન્યૂઝ

સેંકડો રોકાણકારો સાથે 92 કરોડ રૂપિયાની છેતરપિંડી: ગુજરાતી વેપારીની ધરપકડ…

અમદાવાદની ઍપ બનાવતી કંપનીમાં રોકાણ પર મહિને બેથી 10.5 ટકાના વળતરની લાલચ અપાયેલી ગુજરાતના આરોપીઓ દેશબહાર ફરાર થઈ ગયાની પોલીસને શંકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગૂગલ માટે ઍપ બનાવતી કંપનીમાં રોકાણ કરેલી રકમ પર મહિને બેથી 10.5 ટકાના વળતરની લાલચ આપી સેંકડો રોકાણકારો સાથે અંદાજે 92 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે થાણેના ગુજરાતી વેપારીની ધરપકડ કરી હતી. કરોડો રૂપિયાની છેતરપિંડીમાં સંડોવાયેલા ગુજરાતના આરોપીઓ હાલમાં દેશબહાર ફરાર થઈ ગયા હોવાની માહિતી પોલીસને હાથ લાગી હતી.

થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પકડી પાડેલા આરોપીની ઓળખ પરાગ અશોકકુમાર શાહ (46) તરીકે થઈ હતી. શાહને પુણેના નારાયણગાંવ ખાતેથી તાબામાં લેવાયો હતો. કોર્ટે 11 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કથિત છેતરપિંડી મામલે ડિસેમ્બર, 2024ના રોજ વર્તકનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે ગુજરાતમાં રહેતા જયસુખ હરિભાઈ સાખરિયા ઉર્ફે પટેલ, સુધીરભાઈ દલસુખભાઈ કોટડિયા, અવનીતરાય બાબુભાઈ બરવાળિયા ઉર્ફે પટેલ, ઉમંગ શાંતિભાઈ કોટડિયા, રંજના સુધીરભાઈ કોટડિયા, નીરુ જયસુખ સાખરિયા, રાજેશ ખોડાભાઈ પાંભર ઉર્ફે રાજુભાઈ, પ્રવીણકુમાર મનસુખભાઈ વોરા વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આશ્ચર્યની વાત એટલે થાણેના ઉપવન તળાવ નજીક રહેતો અને ખેતીમાં ઉપયોગી ઓજારોનો વ્યવસાય ધરાવતો શાહ મે, 2020માં મિત્ર રાજેશ પાંભર ઉર્ફે રાજુભાઈ સાથે રાજકોટ ગયો હતો, જ્યાં તેની ઓળખાણ જયસુખ સાખરિયા સહિત અન્ય આરોપીઓ સાથે થઈ હતી. તે સમયે આરોપીએ અમદાવાદમાં તેમનો વ્યવસાય હોવાનું કહ્યું હતું. આરોપીએ તેમની કંપની ગૂગલ માટે ઍપ બનાવે છે અને તેના થકી મળતી જાહેરખબરને કારણે ગૂગલ દ્વારા ડૉલર્સમાં ઊંચું વળતર મળતું હોવાનું કહ્યું હતું.

આ કંપનીમાં રોકાણ કરેલી રકમ પર મહિને બેથી 10.5 ટકા વળતર આપવાની લાલચ શાહને બતાવાઈ હતી. ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટની પૉન્ઝી સ્કીમમાં ફસાઈને શાહે અનેક રોકાણકારોને નાણાં રોકવા તૈયાર કર્યાં હતાં. આ માટે તેને ઊંચું કમિશન મળતું હતું. શાહ મારફત રોકાણકારોએ 100 કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું તપાસમાં પોલીસને જણાઈ રહ્યું છે.

કંપની દ્વારા શરૂઆતમાં રોકાણકારોને સમયસર વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ ફેબ્રુઆરી, 2024થી વળતર ચૂકવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં શાહ દ્વારા આ અંગે વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી. જોકે માર્ચ, 2024થી આરોપીઓનો સંપર્ક તૂટી ગયો હતો. અહીં રોકાણકારો શાહ પાસે વળતરની માગણી કરવા લાગ્યા હતા. પરિણામે શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આર્થિક ગુના શાખાના ડીસીપી પરાગ મણેરેની ટીમે આ છેતરપિંડીની તપાસ હાથ ધરતાં શાહના બૅન્ક ખાતામાં કમિશન પેટે મોટી રકમ જમા થઈ હોવાનું જણાયું હતું. પોલીસનો સકંજો કસતો જોઈ શાહ ગુમ થઈ ગયો હતો. શાહનું એક નિવાસસ્થાન પુણેના જુન્નરમાં હોવાની પોલીસને જાણ હતી. જોકે શાહ ત્યાં પણ મળ્યો નહોતો. આખરે મંગળવારની રાતે શાહ પુણેમાં ઝડપાયો હતો.

આપણ વાંચો : એરપોર્ટ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં મારામારીઃ પાર્કિંગ સ્ટાફ અને ડ્રાઈવર વચ્ચે મારપીટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button