પથારીવશ પત્નીની હત્યા: 71 વર્ષના વૃદ્ધને આજીવન કારાવાસની સજા…

થાણે: પથારીવશ પત્નીની હત્યા કરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે 71 વર્ષના વૃદ્ધને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ હત્યા ‘ઇરાદાપૂર્વક અને ગણતરીપૂર્વક’ની હતી. એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ આરોપી શોભનાથ રાજેશ્ર્વર શુકલાને તેની પત્ની શારદાની હત્યા બદલ ભારતીય દંડસંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે શોભનાથ શુકલાને સજા ઉપરાંત પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
કેસની માહિતી મુજબ થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા ઘરમાં 8 નવેમ્બર, 2019ના રોજ શારદાનું મૃત્યુ થયું હતું. શારદાના મૃત્યુ અંગે તેના એક પુત્રને જાણ કરાઇ હતી. સિવિલ હોસ્પિટલમાં શારદાના ગળા પર તેના પુત્રએ શંકાસ્પદ નિશાન જોયા હતા, જેના પર સફેદ મલમ લગાવવામાં આવ્યું હતું. પુત્રને શંકા જતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં શારદાનું મૃત્યુ ગૂંગળામણથી થયું હોવાનું તારણ નીકળ્યું હતું.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર આર. પી. પાટીલે કોર્ટને વૃદ્ધ દંપતી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વિશે માહિતી આપી હતી.
વિધવા શારદાને પહેલા પતિથી ત્રણ પુત્ર છે અને તેણે બાદમાં શોભનાથ સાથે લગ્ન કર્યાં હતાં, જે વિધુર હતો. શારદાના પહેલા પતિની મિલકતના વેચાણથી મળેલા રૂપિયાથી બાંધવામાં આવેલી રૂમને લઇ દંપતી વચ્ચે વિવાદ થયો હતો. શારદા રૂમનો પોતાનો હિસ્સો તેના નાના પુત્રને આપવા માગતી હતી, પણ શોભનાથે વિરોધ કર્યો હતો. શોભનાથ તેના પુત્ર અશોકને હિસ્સો આપવા માગતો હતો.
તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે જૂન, 2019માં શારદા પડી ગઇ હતી અને બાદમાં પથારીવશ થઇ ગઇ હતી. જજે આરોપીને દોષી ઠેરવતાં તેણે આપેલા ધમકીભર્યા નિવેદન, મિલકત વિવાદ અને ઘટના બાદના તેના શંકાસ્પદ વર્તન પર પ્રકાશ પાડ્યો હતો. (પીટીઆઇ)