થાણે કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં 12 વર્ષ બાદ ચારને નિર્દોષ જાહેર કર્યા

થાણે: થાણે કોર્ટે હત્યાના પ્રયાસ અને દંગલના કેસમાં 12 વર્ષ બાદ ચાર જણને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. એડિશનલ સેશન્સ કોર્ટે સોમવારે આ આદેશ આપ્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં જૂની અદાવતને લઇ ગણેશ ગુપ્તા પર 1 જુલાઇ, 2014ના રોજ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી સામે હત્યાનો પ્રયાસ, દંગલ અને ચોરીના આરોપ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
બચાવ વક્ષ અને તપાસકર્તા પક્ષની રજૂઆતો અને પીડિત તથા ફરિયાદીની જુબાની સાંભળ્યા બાદ જજ એ.એસ. ભાગવતને કેસમાં નોંધપાત્ર વિસંગતિઓ જોવા મળી હતી.
ઊલટતપાસમાં ખુલાસો થયો હતો કે ફરિયાદીએ તેના પ્રારંભિક નિવેદનમાં આરોપીના હથિયારો કે કપડાંનું વર્ણન કર્યુ નથી. વધુમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે પીડિત સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે અને આરોપો રાજકીય પ્રેરિત છે.
દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આરોપી એકથી ચાર સામેના આરોપ સાબિત નથી થતા અને તેઓ આ કેસમાં નિર્દોષ છૂટવા માટે હકદાર છે. જુલાઇ, 2014માં ધરપકડ કરાયેલા અને બાદમાં જામીન પર મુક્ત થયેલા ચારેય આરોપીઓને ભારતીય દંડસંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળના તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. (પીટીઆઇ)



