થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…

થાણે: થાણેના પચાસ વર્ષના વેપારીને નારિયેળના વેપારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપીને 16.82 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ડિસેમ્બર, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી અને આ પ્રકરણે થાણેના વર્તકનગર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ ફરિયાદી વેપારીને તેમની સાથે ભાગીદારી કરવા અને આકર્ષક વળતરનું વચન આપી નારિયેળના વેપારમાં રોકાણ કરવા માટે કહ્યું હતું. આરોપીઓ પર વિશ્ર્વાસ રાખીને વેપારીએ 16 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. વર્તકનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ વેપારીને માત્ર 1.59 લાખ રૂપિયા આપ્યા હતા.
વેપારીએ બાકીના રૂપિયાની માગણી કરતાં આરોપીઓએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન વેપારીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે સોમવારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)



