અજિત પવારના મૃત્યુ પછી વિલયની અટકળો વચ્ચે, તટકરેએ કહ્યું કે એનસીપી તો એનડીએમાં જ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને લોકસભાના સાંસદ સુનીલ તટકરેએ રવિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનો ભાગ રહેશે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંગઠન સ્વ. અજિત પવાર દ્વારા નિર્ધારિત વિચારધારા અને માર્ગ પર આગળ વધશે.
તેમનું નિવેદન એવા દાવાઓ વચ્ચે આવ્યું છે કે 12મી ફેબ્રુઆરીએ એનસીપી અને એનસીપી (એસપી) વચ્ચે વિલયની જાહેરાત માટે તારીખ નક્કી કરવામાં આવી હતી.
‘લોકો ગમે તે કહે, અમારું વલણ સ્પષ્ટ છે. અમે પાર્ટી અને અજિતદાદા દ્વારા આપવામાં આવેલી વિચારધારાને આગળ વધારીશું. અમે આ વલણ પર અડગ છીએ,’ એમ તટકરેએ અહીં એનસીપીની રાજ્ય એકમની કચેરીમાં પત્રકારોને જણાવ્યું હતું.
‘અમે એનડીએ સાથે છીએ અને એનડીએ સાથે જ રહીશું. આ અજિતદાદા દ્વારા લેવામાં આવેલ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય હતો,’ એમ રાયગઢના લોકસભાના સાંસદે કહ્યું હતું.
એનડીએ સાથે જોડાણ કરવાનો નિર્ણય અજિત પવારના નેતૃત્વ હેઠળ સામૂહિક રીતે લેવામાં આવ્યો હતો, તેમ તટકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે દિવંગત નેતાની સંમતિ વિના ક્યારેય કોઈ રાજકીય નિર્ણય લીધો નથી.
પવારના મૃત્યુના થોડા દિવસોમાં સુનેત્રા પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવાની ‘ઉતાવળ’ અંગેની ટીકાનો ઉલ્લેખ કરતાં, તટકરેએ કહ્યું હતું કે બંધારણ દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપે છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય મહારાષ્ટ્રના હિતમાં અને એનસીપીને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો હતો.
‘મહારાષ્ટ્રને સ્થિર કરવા અને વિકસિત રાજ્યના અજિત પવારના વિઝનને પૂર્ણ કરવા માટે શપથ લેવામાં કંઈ ખોટું નથી,’ એમ તેમણે કહ્યું હતું.
તટકરેએ કહ્યું કે પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર અંગેનો નિર્ણય એનસીપીનો આંતરિક મામલો છે અને એનડીએમાં સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા બદલ ભાજપની પ્રશંસા કરી. ‘ભાજપે હંમેશા અમારી સાથે સહયોગ કર્યો છે અને તેના સાથી પક્ષો સાથે આદરપૂર્વક વર્તે છે,’ એમ તેમણે કહ્યું હતું.
વિલય વાટાઘાટોના સમય પર પ્રશ્ર્ન ઉઠાવતા, તટકરેએ સામે પૂછ્યું હતું કે અજિત પવારના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય તે પહેલાં જ આવી અટકળો કેમ ઉભી કરવામાં આવી રહી છે.
તટકરેએ કહ્યું કે તેમણે વિલીનીકરણની વાટાઘાટો અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેમ છતાં એક વાર્તા સેટ કરવામાં આવી રહી છે કે તેઓ તેનો વિરોધ કરે છે.
એનસીપી શિવાજી મહારાજ, જ્યોતિબા ફૂલે, શાહુ મહારાજ અને બી.આર. આંબેડકર દ્વારા પ્રેરિત તેની ધર્મનિરપેક્ષ વિચારધારા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ રહીને એનસીપી એનડીએમાં જોડાઈ હતી, અને આ નિર્ણય મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ હતો, એમ તેમણે કહ્યું.
28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અજિત પવારના અસ્થિઓને વિધિવત પ્રાર્થના માટે ત્યાં લાવવામાં આવ્યા બાદ વિધિ માટે પાર્ટી કાર્યાલયની મુલાકાત દરમિયાન તટકરે બોલી રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે અજિત પવારના અસ્થિઓને જાહેર શ્રદ્ધાંજલિ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં લઈ જવામાં આવશે, ત્યારબાદ તેનું સ્થાનિક સ્તરે વિસર્જન કરવામાં આવશે.
સમારંભ દરમિયાન અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવાર પાર્ટી કાર્યાલયમાં હાજર હતા. શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓ ભાવુક જોવા મળ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના પિતાની ખુરશીને ગળે લગાવી હતી.
અજીત પવારના મૃત્યુ પછી એનસીપી અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) ના વિલીનીકરણની આસપાસ અટકળોએ જોર પકડ્યું છે, જોકે આ મુદ્દા પર નિવેદનો વિવિધ રહ્યા છે.
દરમિયાન, અજિત પવારના ભત્રીજા અને એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે રવિવારે કહ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ મહિનાથી વિલીનીકરણની વાટાઘાટોમાં સામેલ હતા અને 13 દિવસના શોક સમયગાળાના અંત પછી ચર્ચાની વિગતો જાહેર કરશે.



