સુનેત્રા પવારે લીધા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નિધન બાદ આજે તેમના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા છે. મુંબઈના રાજભવન ખાતે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરીને સુનેત્રા પવાર મહાષ્ટ્રના પહેલાં મહિલા નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુનેત્રા પવારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જ્યારે સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય મંત્રી તરીકે પદના શપથ લીધા છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ છે અને નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લેતાં પહેલાં તેમણે પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને સોંપ્યું હતું. હવે સુનેત્રા પવારની જગ્યાએ અજિત પવારના દીકરા પાર્થ પવાર રાજ્યસભામાં જશે.
આજે યોજાયેલી વિધાયક દળની બેઠકમાં સુનીલ તટકરેએ અજિત પવાર માટે શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ દિલીપ વળસે પાટીલે પક્ષના પ્રમુખ તરીકે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને છગન ભુજબળ અને અન્ય વિધાનસભ્યોએ સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના બે નિર્ણયોમાં પ્રથમ તેમને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવા અને બીજો તેમને પાર્ટીના તમામ નિર્ણયો લેવાની બંધારણીય સત્તા આપવીનો સમાવેશ થાય છે.
NCP વિલયનું ગૂંટાતું રહસ્ય
એનસીપી (શરદ પવાર જૂથ)ના શરદ પવારે આજે જ સવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમને આ શપથ ગ્રહણ સમારોહની કોઈ જાણકારી નહોતી અને તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. શરદ પવારે દાવો કર્યો છે કે બંને રાષ્ટ્રવાદી પક્ષો (NCP) 12 તારીખે એક સાથે આવી શકે છે. જોકે, હવે જ્યારે સુનેત્રા પવાર પાસે પક્ષના તમામ નિર્ણયો લેવાની સત્તા છે, ત્યારે બંને પક્ષોના વિલય અંગેનો અંતિમ અને સત્તાવાર નિર્ણય તેમના પર નિર્ભર રહેશે.



