આમચી મુંબઈ

2022 હત્યાકેસ: ગેન્ગસ્ટર સુભાષસિંહ ઠાકુરને 22 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી…

થાણે: થાણે કોર્ટે 2022માં ડેવલપરની હત્યાના કેસમાં ગેન્ગસ્ટર સુભાષસિંહ ઠાકુરને 22 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના માર્ગદર્શક માનવામાં આવતા ઠાકુરને મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે સોમવારે ઉત્તર પ્રદેશની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાંથી કસ્ટડીમાં લીધો હતો.

પાલઘર જિલ્લાના વિરારમાં મનવેલપાડા ખાતે ફેબ્રુઆરી, 2022માં પ્રોપર્ટી ડેવલપર સમય ચવાણ (32)ની થયેલી હત્યા બદલ ઠાકુર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ઠાકુર સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) પણ લગાવાયો હતો.

દરમિયાન ઠાકુરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ તેને વિરાર લાવવામાં આવ્યો હતો. મંગળવારે તેને થાણેની કોર્ટના વિશેષ જજ વી.જી. મોહિતે સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં જજ તેને 22 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. 2022ના હત્યાકેસમાં સંડોવણી બદલ પોલીસ હવે ઠાકુરની પૂછપરછ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સ્થાનિક બિલ્ડર રાહુલ દુબે અને ડેવલપર સમય ચવાણ વચ્ચે મિલકત વિવાદ ચાલતો હતો અને તે બાદમાં ચવાણની હત્યાનું કારણ બન્યું હતું. મોટરસાઇકલ પર આવેલા શૂટરોએે ચવાણની ગોળી મારી હત્યા કરી હતી.

આ કેસમાં બિલ્ડર રાહુલ દુબેની બિહારના બલિયાથી ધરપકડ કરવામાં આવી હતી. બંને શૂટરની ઓળખ મનીષ સિંહ અને રાહુલ શર્મા તરીકે થઇ હતી. શર્મા અને તેના સાથીદાર અભિષેકસિંહને 29 માર્ચે વારાણસીથી ઝડપી પાડવામાં આવ્યા હતા. (પીટીઆઇ)

આ પણ વાંચો…જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસના આરોપીને પોલીસે 32 વર્ષે ઉત્તર પ્રદેશમાં શોધી કાઢ્યો…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button