આમચી મુંબઈ

તહેવારો ટાણે જ બસભાડામાં 10 ટકાનો વધારો, બજેટ બગડી જશે આમઆદમીનું….

મુંબઈઃ દિવાળીના ટાંકણે પોતાના ગામ જનારાઓની સંખ્યા વધી જાય છે, પરંતુ હવે એસટીએ એક્ઝેક્ટ્લી દિવાળીના ટાણે જ લોકોના ખિસ્સા કાપવાનું શરૂ કર્યું છે. આજથી જ એસટીની ટિકિટમાં દસ ટક્કાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન પ્રાઈવેટ બસમાલિકોએ તો આ પહેલાં જ ભાવવધારો જાહેર કરી દીધો હતો.

રાજ્યમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે અને એની સાથે સાથે હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ માથે જ છે. આ સમયગાળા દરમિયાન રજાઓમાં ઘરે જનારાઓને અને ફરવા જનારાઓ તે તીર્થયાત્રા પર જનારાઓની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી આ જ પરિસ્થિતિ રહે છે. બરાબર આવા સમયે જ એસટી દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.


કોલ્હાપુર-પંઢરપુર માટે પ્રવાસીઓએ એસી એસટી બસ માટે 970 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પ્રાઈવેટ બસમાં આ જ ભાવ એક હજારથી દોઢ હજાર રૂપિયા જેટલો પહોંચી જાય છે. પ્રાઈવેટ બસમાં મુંબઈથી કોંકણ જવાનું પણ મોંઘું થઈ ગયું છે અને એ માટે પ્રવાસીઓએ ત્રણ હજારથી વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે. જ્યારે એસટીમાં આ જ પ્રવાસ માટે 1150થી 1255 રૂપિયા જેટલો ખર્ચ થાય છે.


દિવાળી સમયે જ સરકારી તિજોરીને પડી રહેલી ખોટ માટે 27 નવેમ્બર સુધી આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. પહેલાંથી ટિકિટ બુક કરનારા પ્રવાસીઓએ જૂના ભાવ અને નવા ભાવ વચ્ચેનું ડિફરન્સ બસ કંડક્ટરને આપવાનું રહેશે, એવું પણ એસટી મહામંડળ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.


પ્રાઈવેટ બસચાલકો દ્વારા આ ભાવવધારા પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે બસના છુટ્ટા સ્પેર પાર્ટસની કિંમત, એન્જિન ઓઈલ સહિત મેઈન્ટેનન્સના ખર્ચમાં વધારો થયો છે. ડ્રાઈવર અને ક્લિનરનો પગાર જેવો તમામ ખર્ચ બાસમાલિકોએ ઉપાડવો પડે છે.


ખાનગી બસમાલિકોને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કે રોડટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. પ્રવાસીઓને દરજ્જાદાર સુવિધા આપવા માટે બસને સાફ-સુથરી રાખવી, પ્રવાસીઓની સુરક્ષા વગેરે બધી બાબતોનું ધ્યાન રાખવા માટે આ ભાવવધારો કરવામાં આવ્યો છે, એવી માહિતી દાદરના એક પ્રાઈવેટ બસ ઓપરેટર દ્વારા આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button