આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈને મળશે વધારાનું પાણી

મલબાર હિલ જળાશયના પુન: બાંધકામમાં અડચણરૂપ રહેલાં વૃક્ષો પર આજે થશે સુનાવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારોમાં બહુ જલદી વધારાનું પાણી ઉપલબ્ધ થવાનું છે. મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના જળાશયના પુન:બાંધકામને આડે આવતા વૃક્ષોના સંદર્ભમાં સૂચનો અને વાંધા-વચકા પર ગુરુવારે ભાયખલામાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ગાર્ડન સુપરિટેન્ડેન્ટની ઓફિસમાં સુનાવણી થવાની છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દક્ષિણ
મુંબઈનો પાણીપુરવઠો વધારવા માટે જળાશયની ક્ષમતા ૧૪૭.૭૮ મિલિયન લિટરથી વધારીને ૧૯૧ મિલિયન લિટર કરવાનો છે. પાલિકાએ ગયા વર્ષે કૉન્ટ્રેક્ટ ફાળવ્યા પછી પણ નવી ટાંકી પર કામ ચાલુ કરી શકાયું નહોતું. આ પ્રોજેક્ટ માટે અમુક વૃક્ષોને કાપવાની આવશ્કયતા જણાઈ હતી. તેથી સમય બચાવવા માટે પાલિકાએ તે દરમિયાન સ્થળ પર અન્ય જરૂરી કામ ચાલુ કરી દીધા હતા. તો પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત વૃક્ષોને કાપવા માટે પાલિકાની ટ્રી ઓથોરિટીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
મળેલ માહિતી મુજબ પાલિકાના અધિકારીઓએ સ્થળ પર ૩૮૯ વૃક્ષોનો સર્વે હાથ ધર્યો હતો અને ૧૮૯ વૃક્ષોને કાપવાની દરખાસ્ત કરી હતી. જ્યારે ૨૦૦ વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તે મુજબ નાગરિકો પાસેથી છ સપ્ટેમ્બરના રોજ સૂચનો અને વાંધા મગાવ્યા હતા. સૂચનો અને વાંધા મોકલવાની અંતિમ તારીખ ૧૩ સપ્ટેમ્બર, બુધવાર હતી.
પાલિકા દ્વારા વૃક્ષો કાપવાની મંજૂરી મળ્યા બાદ જ નવી ટાંકીનું બાંધકામ ચાલુ થશે. જળાશયની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે સાત અલગ અલગ ચેમ્બર છે. પાણીપુરવઠો અવિરત રાખવા માટે દરેક ચેમ્બરમાંથી પાણીને આગામી ચેમ્બરમાં સ્થળાંતરિત કરવામાં આવશે. ત્યારબાદ ચોક્કસ ચેમ્બરના ડિમોલીશન અને પુન:નિર્માણની કામગીરી ચાલુ કરવામાં આવશે.
મુંબઈ શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલ પહેલું કૃત્રિમ જળાશય હેગિંગ ગાર્ડનની નીચેની તરફ એક ટેકરી પર સ્થિત છે. તે નરીમન પોઈન્ટ, કફ પરેડ, ચર્ચગેટ, કોલાબા, ગિરગાંવ, નેપિયન સી રોડ અને સમગ્ર મલબારહિલ વિસ્તારને પાણીપુરવઠો પૂરું પાડે છે.
૨૦૧૯માં જળાશયના સ્ટ્રક્ચરલ ઑડિટ પછી સુધરાઈએ તેનું પુન:બાંધકામ કરવાનું નક્કી કર્યું હતું. પાલિકાની સ્થાયી સમિતિએ ફેબ્રુઆરી, ૨૦૨૨માં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૬૯૮.૫૦ કરોડ રૂપિયા છે, જેમાં ટૅક્સ અને સરચાર્જનો સમાવેશ થાય છે. આ કામ આગામી સાત વર્ષ માટે તબક્કાવાર કરવામાં આવશે અને ૨૦૨૯ના અંત સુધીમાં કામ પૂરું થવાની શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો