કોચી યુનિવર્સિટીની દુર્ઘટના અંગે સિંગરે આપ્યું મહત્વનું નિવેદન

મુંબઈ: કેરળમાં કોચી યુનિવર્સિટીમાં આયોજિત એક કોન્સર્ટ પૂર્વે વિદ્યાર્થીઓની દોડાદોડીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ કમનસીબ દુર્ઘટના અંગે આજે સિંગરે મહત્વનું નિવેદન આપ્યું હતું.
કેરળના કોચીમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર નિકિતા ગાંધીના કોન્સર્ટમાં ભાગદોડની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગઇકાલે રાતે બની હતી. કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને લગભગ 64 ઘાયલ થયા હતા. ગાયક નિકિતા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
કેરળની કોચી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે શનિવારે મોડી સાંજે ઓપન એર ટેક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં સિંગર નિકિતા ગાંધીનો કોન્સર્ટ યોજાયો હતો. આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ પછી અચાનક નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ અતુલ થામ્બી, એન રૂથા, સારા થોમસ અને એલ્વિન જોસેફ તરીકે થઈ છે.
સિંગર નિકિતા ગાંધીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે 25 નવેમ્બરની સાંજે કોચીમાં બનેલી ઘટના હૃદયદ્રાવક અને અત્યંત દુઃખદ ગણાવી હતી. હું આ કોન્સર્ટમાં જવા નીકળી તે પહેલા જ આ કમનસીબ ઘટના બની હતી. મારી પાસે આ દુ:ખ વ્યક્ત કરવા માટે આજે પૂરતા શબ્દો નથી. હું વિદ્યાર્થીઓના પરિવારો માટે પ્રાર્થના કરું છું.
કોચી યુનિવર્સિટીના કોન્સર્ટમાં નાસભાગનું કારણ વરસાદ હતો. વરસાદ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ ભાગવા લાગ્યા હતા અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે નિકિતા ગાંધીનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો, પરંતુ નિકિતાનો કોન્સર્ટ શરૂ થાય તે પહેલા આ ઘટના બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.