મહારાષ્ટ્રમાં બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારની યોજનાઓ સફળ

પુણે: મહારાષ્ટ્રમાં ઘણા સમયથી નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ વધતા મોટો હોબાળો મચ્યો હતો, પણ હવે નવજાત બાળકોનાં મૃત્યુનાં પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. રાજ્યમાં વિવિધ સંસ્થા દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2018માં બાળકોનાં મૃત્યુનું પ્રમાણ બાવીસ ટકા હતું જે હવે 18 ટકા પર આવી ગયું છે અને નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ 13 ટકાથી ઘટીને 11 ટકા થયું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ વાન ટ્રક સાથે અથડાઈ, 11 બાળકોનો આબાદ બચાવ
યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સે 2030 સુધી નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ 12 ટકા કરતાં ઓછું કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં આ લક્ષ્યાંક 2020 સુધી જ પૂર્ણ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં નવજાત બાળકો સાથે માતાનાં મૃત્યુના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકોનાં મૃત્યુને રોકવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું છે. સરકારના આ પ્રયત્નો સફળ થઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: જયપુરમાં ભીષણ આગમાં પાંચના મોત, બિહારનો પરિવાર ત્રણ બાળકો સાથે જીવતો સળગી ગયો
નવજાત બાળકોનાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે રાજ્યના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નવજાત બાળકો માટે 53 સ્પેશિયલ વોર્ડ પણ નિર્માણ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાં દર વર્ષે લગભગ 50થી 60 હજાર જેટલા બીમાર બાળકો અને ઓછા વજનવાળા બાળકોની સારવાર કરવામાં આવતી હતી, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો
રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાની અમલબજવણી કરીને નવજાત બાળકોનાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ એક સર્વે ટીમ નિર્માણ કરીને તેમને હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દરેક પ્રકારની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે નહીં તેની માહિતીની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દર વર્ષે 10 લાખ કરતાં વધુ નવજાત બાળકોની મુલાકાત લેવાની સાથે 90 હજાર જેટલા બીમાર બાળકોનું નિદાન તેમની સારવાર કરવામાં આવે છે. તેમજ એક વર્ષ સુધીના બાળકોને મફત ઉપચાર, આહાર અને બીજી અનેક સેવા પણ પૂરી પાડવામાં આવે છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.