શ્રેયસ તળપડેને હાર્ટ એટેક, તબિયત સ્થિર

મુંબઈ: છેલ્લાં કેટલાંક મહિનાઓથી બોલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ત્યારે હવે બોલીવુડ અને ટેલીવુડના આ જાણીતા અભિનેતા શ્રેયસ તળપડેને હાર્ટ એટેક આવ્યો હતો. અનેક ફિલ્મો અને ટીવી સિરીયલમાં શ્રેયસે પોતાના અભિનયને કારણે એક આગવી ઓળખ ઊભી કરનાર આ અભિનેતાની શૂટિંગ બાદ તબિયત લથડતા તેને સારવાર અર્થે અંધેરીમાં આવેલ બેલેવ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જાણીતા અભિનેતા શ્રેયસ તળપડેને ગુરુવારે સાંજે શૂટિંગ
પૂરું થયા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ શ્રેયસને તરત જ અંધેરી પશ્ચિમમાં આવેલ બેલેવ્યુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શ્રેયસ તળપદે તેની આગામી ફિલ્મ વેલકમ ટૂ દ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. જોકે આ ઘટના અચાનક જ ઘટી છે. હાલમાં તે સારવાર હેઠળ છે.
શ્રેયસ તળપદે આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઇ જ તકલીફ થઇ નહતી. શૂટિંગમાં તેણે એક્શન સિક્વન્સ પણ કર્યા. શુટ પતાવીને તે ઘરે પહોંત્યો હતો. તેણે પત્નીને કહ્યું કે તેને અસ્વસ્થ લાગી રહ્યું છે. તેથી તેની પત્ની તરત જ શ્રેયસને હોસ્પિટલ લઇ આવી હતી. જોકે રસ્તામાં જ તેને ચક્કર આવી ગયા હતાં. આ અંગે હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે શ્રેયસ તળપદે હોસ્પિટલમાં દાખલ છે, તેમને ગઇ કાલે મોડી સાંજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અને તરત જ તેમની એન્જિઓપ્લાસ્ટિ કરવામાં આવી. જોકે હવે અભિનેતાની તબીયત સ્થિર છે, એમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.