…તો 'આ' કારણસર મધ્ય રેલવેમાં શોર્ટ ડિસ્ટન્સની ટ્રેન સર્વિસ પર મૂકાશે કાતર | મુંબઈ સમાચાર

…તો ‘આ’ કારણસર મધ્ય રેલવેમાં શોર્ટ ડિસ્ટન્સની ટ્રેન સર્વિસ પર મૂકાશે કાતર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સબર્બન રેલવેની લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવવાની છે. આ સાથે દાદર જેવા ભીડવાળા સ્ટેશન પરથી કલ્યાણ તરફ વધુ લોકલ ટ્રેનને પણ શરૂ કરવાની સાથે રશઅવર દરમિયાન મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કુર્લાની શોર્ટ ડિસ્ટન્સની લોકલ ટ્રેનોને રદ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.


દાદર સ્ટેશન પરથી રોજ ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. દાદર પશ્ચિમ અને મધ્ય રેલવેને જોડતું સ્ટેશન હોવાથી ભીડને નિયંત્રણમાં લેવા માટે રેલવે પ્રશાસનને દરેક ઉપાયો નિષ્ફળ થતાં દેખાઈ રહ્યા છે. દાદર સ્ટેશનના પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મને એકથી સાત અને મધ્ય રેલવેના પ્લેટફોર્મને આઠથી 14 એમ કુલ મળીને 14 નંબર આપવામાં આવ્યા છે.


મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબર આઠને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે જેને કારણે પ્લેટફોર્મ નંબર 10 અને 11 પર લોકલ ટર્મિનલ બનાવવાનો વિચારણા છે. આ ટર્મિનલ બનાવ્યા બાદ પ્લેટફોર્મ 10 અને 11 પર બંને બાજુથી પ્રવાસીઓ ઉતરતા સ્ટેશન પર ભીડ ઓછી થશે.


મધ્ય રેલવેમાં થતી ભીડને ઓછી કરવા માટે માર્ગમાં વંદે ભારત અને એસી લોકલ ટ્રેનની ફેરીને વધારવાનો વિચાર અનેક મહિનાથી ચાલી રહ્યો છે. હાલમાં મુંબઈ ડિવિઝનમાં 66 એસી લોકલ દોડાવાય છે. જોકે, એસી લોકલને લીધે રશઅવર્સ દરમિયાન લોકલ ટ્રેનમાં ભીડ થતી હોય છે, પણ નવા ટાઈમટેબલ મુજબ વધુ નોન-એસી લોકલ ટ્રેનોને શરૂ કરવા પ્રશાસન તૈયાર નથી એવું અધિકારીએ જણાવ્યું હતું.


સીએસએમટીથી કુર્લા વચ્ચે અનેક લોકલ ટ્રેનોની સેવા છે, પણ મોટાભાગે આ ટ્રેનોને રદ કરવામાં આવે છે. સીએસએમટીથી કુર્લા આ અંતર ખૂબ જ ઓછું હોવાથી વધુ પ્રવાસીઓને તેનો લાભ મળતો નથી, જેથી સીએસએમટીથી કુર્લા ટ્રેન સેવાને થાણે સુધી દોડાવવામાં આવે એવા પ્રસ્તાવ પર રેલવે પ્રશાસન વિચાર કરી રહ્યું છે. મધ્ય રેલવેમાર્ગમાં 270 રેક (ઈએમયુ-ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ) ઉપયોગમાં લેવાય છે, જેમાંથી 15 ડબ્બાની 22 અને 12 ડબ્બાની 248 રેક્સનો સમાવેશ થાય છે.

Back to top button