સુધરાઈ કરશે શિવાજી પાર્કનું સુશોભીકરણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં આવેલા પ્રતિષ્ઠિત છત્રપતિ શિવાજી મહારાજ પાર્કનું સુશોભીકરણ કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે, તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. લગભગ અઢી કરોડના ખર્ચે શિવાજી પાર્ક પેરિફેરલ કટ્ટાનું સમારકામ, શિલ્પો, ભીંત ચિત્રોની સફાઈ અને તેના રંગકામ, બેસવા માટે બેન્ચ બેસાડવાથી લઈને લાઈટિંગમાં અપગ્રેડેશન કરવામાં આવવાનું છે. એ સાથે જ ત્યાં રહેલા બાળ ઠાકરેના સ્મારકમાં ફુવારો ઉમેરવાનો સમાવેશ થાય છે.
દાદરમાં ૨૮ એકરનું શિવાજી પાર્ક મુંબઈનું સૌથી મોટું જાહેર સ્થળ છે, જયાં રમતગમતના શોખીનો અને મોર્નિંગ અને ઈવનિંગ વોક કરવા આવનારા લોકોની સાથે જ પ્રવાસીઓ નિયમિત રીતે આવે છે. શહેરના મધ્યમાં આવેલું શિવાજી પાર્ક રાજકીય રેલીઓ માટે પણ તમામ રાજકીય પક્ષોની મનગમતી જગ્યા છે. આ ઉદ્યાનમાં ૧.૩ કિલોમીટરનો પ્રોમોનેડ, અને ચાલવા માટે અલાયદી વ્યવસ્થા છે. જીમની સાથે યોગ કેન્દ્ર પણ આવેલું છે. સૌથી નોંધપાત્ર જગ્યા શિવાજી પાર્ક જીમખાના છે. ઉદ્યાનની આસપાસના ઘણા વૃક્ષો ૮૦ વર્ષથી જૂના છે, જે તેના ઐતિહાસિક આકર્ષણમાં વધારો કરે છે.

પાલિકાએ ૨૦૨૧ની સાલમાં શિવાજી પાર્ક માટે બ્યુટિફિકેશન યોજના હાથ ધરી હતી, જેમાં બેઠકની જગ્યામાં સુધારો કરવામાં આવ્યો હતો અને પીવાના પાણીના ફુવારા સહિત હેરિટેજ માળખાઓને પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતાય
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નવી યોજના હેઠળ પેરિફરલ કટ્ટાને ફરી બેસાડવામાં આવશે. વૃક્ષોના બેસિનનું સમારકામ, બેસાડવા માટે નવી બેન્ચ બેસાડવામાં આવશે. શિલ્પો અને ભીંતચિત્રોને સાફ કરીને ફરી રંગવામાં આવશે. ત્યાં બેસાડેલી લાઈટમાં વધારો કરવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર બોલાર્ડ લાઈટ્સ. સીસીટીવી કેમેરા અને એલઈડી વોશર બેસાડવામાં આવશે. સાથે જ અપગ્રેડેડ ગાર્ડન લાઈટિંગ પણ બેસાડવામાં આવશે.બાળ ઠાકરેના મેનોરિયલમાં ઈન્ટિગ્રેડેટ લાઈટિંગ સાથેનો માર્બલ ફાઉન્ટન બેસાડવામાં આવશે. સ્ટ્રીટ ફર્નિચરમાં સુધારો કરવાની સાથે જ સાઈનેજ બદલવામાં આવશે.



