શિંદેની શિવસેનામાંથી એક નેતાએ આપ્યું રાજીનામુંઃ પવાર જૂથને આપ્યો ટેકો

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ પ્રધાન સુરેશ નવલેએ રાજીનામુ આપી દીધું છે અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
નવલેએ પોતે રાજીનામુ આપવાનું કારણ જણાવતા કહ્યુ હતું કે મુખ્ય પ્રધાન શિંદે ભાજપના દબાણ સામે ઝૂકી ગયા છે. જોકે, હાલ પોતે કોઇ પક્ષમાં નહીં જોડાય તેમ જણાવતા નવલેએ શરદ પવાર જૂથની એનસીપીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેમણે બીડ લોકસભા બેઠકના શરદ પવાર જૂથના ઉમેદવાર બજરંગ સોનાવણેને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
નવલેએ જણાવ્યું હતું કે મારું માનવું છે કે મુખ્ય પ્રધાન ભાજપના દબાણ સામે ઝૂકી ગયા છે. જ્યારે તેમણે સરકાર બનાવી પરંતુ જ્યારે શિવસેનાએ 18 બેઠકો પર લડવાની વાત આવી ત્યારે તેમણે તેવો જુસ્સો ન બતાવ્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે જે નેતાઓ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે તેમની રાજકીય કારકિર્દી ખતમ હાલ પૂરી થઇ ગઇ છે તેમ માનવું, ભવિષ્ય વિશે હું કંઇ કહી ન શકું.