શશિકાંત શિંદે મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના નવા પ્રદેશ પ્રમુખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનપરિષદના સભ્ય શશિકાંત શિંદેને મંગળવારે જયંત પાટીલના સ્થાને એનસીપી (એસપી)ના રાજ્ય એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, અહીં પાર્ટીની સામાન્ય સભામાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર દ્વારા શિંદેની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.
તેમનું નામ ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને શિરુરના સાંસદ અમોલ કોલ્હે અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનીલ ભુસારાએ તેને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા
બાદમાં, શરદ પવારે માઈક લીધું હતું અને કહ્યું હતું કે તેમને આ પદ માટે એક જ નામ મળ્યું છે, ક્રાસ્ટોએ જણાવ્યું હતું.
પવારે એનસીપી (એસપી)ના નેતાઓને પૂછ્યું હતું કે શું તેમનામાંથી કોઈ ચૂંટણી લડવા માગે છે અને કોઈ જવાબ ન મળતા, શિંદેનું નામ સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યું હતું, એવી માહિતી ક્રાસ્ટોએ આપી હતી.
સભાને સંબોધતા, સાત વર્ષ સુધી રાજ્ય એનસીપી એકમનું નેતૃત્વ કરનાર જયંત પાટીલે તેમને તક આપવા બદલ શરદ પવારનો આભાર માન્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન પાર્ટીના કાર્ય વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પાર્ટી માટે કામ કરતા રહેશે.