આમચી મુંબઈ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

સુપ્રિયા સુળે બોલે તે અજિત પવાર કરે અને પછી શરદ પવાર ફેરવી તોળે સરકાર પ્રોજેક્ટ અંગે વિગતવાર બ્રીફિંગ શેર કરે પછી જ શક્તિપીઠ એક્સપ્રેસવે પર સ્ટેન્ડ લઈ શકાય: સિનિયર પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે પ્રસ્તાવિત નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ-વે પર સ્ટેન્ડ લેવા પહેલાં તેઓ સરકાર આ પ્રોજેક્ટ અંગેનું વિગતવાર બ્રીફિંગ આપે તેની રાહ જોવાનું પસંદ કરશે.પવારે કહ્યું હતું કે, નિષ્ણાતોએ પહેલાં વિચાર કરવો જોઈએ કે આ પ્રોજેક્ટ લોકોના હિતમાં છે કે નહીં. સામાન્ય રીતે કોઈપણ નવા પ્રોજેક્ટનો વિરોધ થાય જ છે. હું એ જોવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હું સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરી શકું છું. ખેડૂતો (જેમની જમીન સંપાદિત કરવામાં આવશે)ના મંતવ્યો સમજવા અત્યંત મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતું.

સરકાર પ્રોજેક્ટ પાછળનો તર્ક, તેનાથી લોકોને કેવી રીતે ફાયદો થશે અને ખેડૂતોને નુકસાન નહીં થાય તેની ખાતરી જેવી બધી બાબતોને સમાવી લેતું વિગતવાર બ્રીફિંગ આપી શકે પછી જ કોઈ પ્રકારનું સ્ટેન્ડ લઈ શકાય, એમ પવારે કોલ્હાપુરમાં પત્રકારોને જણાવ્યું હતું. પવારે કહ્યું હતું કે, તેઓ પ્રોજેક્ટ પર ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી કારણ કે તેમની પાસે તેના ફાયદા અને ગેરફાયદાનું સ્પષ્ટ ચિત્ર નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે તેમની પુત્રી અને એનસીપી (એસપી)નાં કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સરકારને 86,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર ફેરવિચાર કરવાની અપીલ કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ‘પહેલેથી જ ખાલી’ રાજ્યના ખજાના પર બોજ પડશે. અહીં ઉલ્લેખનીય છે કે સુળેના આ નિવેદન પછી તેમના પિતરાઈ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાણાં ખાતાએ પણ આ પ્રોજેક્ટને તિજોરી પર બોજ સમાન ગણાવ્યો હતો.

રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 802 કિમી લાંબો શક્તિપીઠ એક્સપ્રેસવે પ્રોજેક્ટ વર્ધા જિલ્લાના પવનારને મહારાષ્ટ્ર-ગોવા સરહદ પર પત્રાદેવી સાથે જોડશે અને નાગપુર અને ગોવા વચ્ચેનો મુસાફરીનો સમય વર્તમાન 18 કલાકથી ઘટાડીને આઠ કલાક કરશે. રાજ્ય કેબિનેટે મંગળવારે હાઇ-સ્પીડ કેરેજ-વે માટે 20,787 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી, જે 12 જિલ્લાઓમાંથી પસાર થશે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ-વે ફાયદાકારક સાબિત થયો છે, ત્યારે પવારે કહ્યું કે તેની ઉપયોગિતાને સમજવામાં બે વર્ષ લાગશે. જોકે, તેમણે એક્સપ્રેસ-વે પર અકસ્માતોની સંખ્યા પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકારે તાજેતરમાં આ મુદ્દાને ઉકેલવા માટે એક હાઈ-પાવર્ડ સમિતિ પુનર્ગઠિત કરી છે.

પવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે (યુદ્ધવિરામ અંગે) કેટલાક નિર્ણયો લીધા હતા જ્યારે વાસ્તવિકતા એ છે કે તેમને (અન્ય રાષ્ટ્રોવતી) નિર્ણયો લેવાનો કોઈ અધિકાર નથી. તેમના નિવેદનો દરેકને નર્વસ કરે છે. આજે, યુરોપના ઘણા દેશો તેમના દ્રષ્ટિકોણથી નિરાશ છે, એમ તેમણે કહ્યું હતું.

પવારે કહ્યું કે ફક્ત એક દેશ શક્તિશાળી હોવાને કારણે, તેનો અર્થ એ નથી કે તે તેના નિર્ણયો અન્ય રાષ્ટ્રો પર લાદી શકે છે.
મને લાગે છે કે ભારતે ઈરાન મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ અને અખાતી દેશો અંગેની નીતિઓ ભૂતકાળના નેતૃત્વ દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ સાથે સુસંગત હોવી જોઈએ. અખાતી દેશોમાં ભારત વિશે કોઈ ગેરસમજ રહેવી ન જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો : શક્તિપીઠ એક્સપ્રેસવે પર પુનર્વિચાર કરો, મહારાષ્ટ્રના નાણાકીય ખર્ચ પર ભાર પડશે: સુળે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button