શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સાથે મળીને લડવા પર ચર્ચા કરશે. તેમણે એ વાત પર પણ નવાઈ વ્યક્ત કરી હતી કે બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારના નેતૃત્વ હેઠળની પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ (પીડીસીસી) બેંક બુધવારે મધ્યરાત્રિ સુધી ખુલ્લી જોવા મળી હતી. 22 જૂને પુણેના બારામતીમાં આવેલી માલેગાંવ સહકારી સુગર મિલની ચૂંટણી છે.
સુપ્રીમ કોર્ટે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજવાનો નિર્દેશ આપ્યો હોવાથી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે એવી શક્યતા છે, એમ પવારે શુક્રવારે બારામતીમાં પત્રકારોને જણાવ્યું હતું. અમે હજુ સુધી કોંગ્રેસ સાથે ચર્ચા કરી નથી, પરંતુ અમારી પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી), શેતકરી કામદાર પક્ષ (શેકાપ) અને અન્ય પક્ષો સાથે મળીને ચૂંટણી લડવાની શક્યતાઓ ચકાસી રહ્યા છીએ. ચર્ચા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે, કારણ કે અમે સાથે મળીને ચૂંટણી લડવા માગીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

શું એમવીએ મુંબઈ મનપાની ચૂંટણીઓ પણ સંયુક્ત રીતે લડશે એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આવી કોઈ ચર્ચા થઈ નથી. અમારામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)નો મુંબઈમાં મજબૂત જનાધાર છે અને તેમના મંતવ્યને ધ્યાનમાં લેવામાં આવશે. બાળ ઠાકરે દ્વારા સ્થાપિત અવિભાજિત શિવસેનાએ બે દાયકાથી વધુ સમય સુધી સૌથી શ્રીમંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર સત્તા ભોગવી હતી.
ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીઓમાં એમવીએ રાજ્યની 288 બેઠકોમાંથી ફક્ત 46 બેઠકો જીતી શક્યું હતું એવા શરમજનક દેખાવ પછી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એમવીએ માટે પોતાનું સન્માન પાછું મેળવવાનો અમુલ્ય મોકો બની શકે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને રાજ્યની મીની વિધાનસભા ચૂંટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જ આ ચૂંટણીમાં એમવીએ પૂરી તાકાત સાથે ઉતરે એવી શક્યતા છે.
માલેગાંવ સહકારી ખાંડ મિલની ચૂંટણી યોજાવાની છે, જ્યાં બારામતીમાં બુધવારે મધ્યરાત્રિ સુધી પીડીસીસી બેંક ખુલ્લી રહેવા અંગે પૂછવામાં આવતાં પવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન પણ બેંક મોડી રાત્રે ખુલ્લી જોવા મળી હતી.
‘આ બીજી વખત થઈ રહ્યું છે. બેંકને નિયંત્રિત કરનારાઓ તરફથી સૂચના ન મળે ત્યાં સુધી બેંક ખુલ્લી રહી શકતી નથી,’ એમ તેમણે કહ્યું હતું. શુગર મિલના 21 સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અજિત પવાર મેદાનમાં રહેલા 90 ઉમેદવારોમાં છે. એનસીપી (એસપી) પણ સ્પર્ધામાં ઉતરી છે.
મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે દર્શાવવા અંગેના પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે તેને ફરજિયાત ન બનાવવી જોઈએ.
‘તે (હિન્દી) વૈકલ્પિક (ભાષા) રહેવી જોઈએ. જે લોકો હિન્દી પસંદ કરવા માગે છે તેઓ તેનો વિકલ્પ પસંદ કરી શકે છે. ફક્ત 50 થી 60 ટકા (દેશની) વસ્તી હિન્દી બોલે છે, તેથી (હિન્દી) ભાષા બધા માટે ફરજિયાત ન બનાવી શકાય,’ એમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકારે તાજેતરમાં અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં ધોરણ પહેલાથી પાંચમાના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ‘સામાન્ય રીતે’ ત્રીજી ભાષા બનાવવાનો આદેશ જારી કર્યા પછી, વિપક્ષે ભાજપ પર મહારાષ્ટ્રમાં હિન્દી લાદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પાછળ સાયબર હુમલાનો હાથ હોવાની અટકળો અંગેના સવાલના જવાબમાં, 80 વર્ષના નેતાએ કહ્યું કે તેઓ એવું વિચારતા નથી. ‘મારી પાસે રહેલી માહિતી મુજબ, એર ઇન્ડિયા તેના વિમાનોના યાંત્રિક પાસાઓ વિશે ખૂબ કાળજી રાખે છે. એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે,’ એમ તેમણે કહ્યું હતું.
હાલના ભૂ-રાજકીય સંદર્ભમાં અમેરિકા પ્રત્યે ભારતની વિદેશ નીતિ વિશે પૂછવામાં આવતા, પવારે કહ્યું કે ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે. ‘કેટલાક કિસ્સાઓમાં અમને તેમની નીતિઓ પસંદ નથી. આવા કિસ્સાઓમાં આપણે એવી નીતિઓને વળગી રહેવું જોઈએ જેના પર પરસ્પર સમજણ હોય. આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે અમેરિકા એક મહાસત્તા છે,’ એમ તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવા માટે 18 સભ્યોની પુનર્ગઠિત સમિતિમાં તેમના (શરદ પવારના) સમાવેશ અંગેના સવાલના જવાબમાં પવારે કહ્યું હતું કે તેઓ આ વિશે કશું જાણતા નથી. જોકે, તેમણે આ મુદ્દે તમામ મદદ અને સમર્થન આપવાની ઓફર કરી હતી.
આપણ વાંચો : સત્તા માટે ભાજપ સાથે જોડાનારા તકવાદીઓને પ્રોત્સાહન આપી શકતો નથી: શરદ પવાર