Assembly Election પૂર્વે ઈલેક્શન કમિશનને શરદ પવાર જૂથે કરી મોટી માગણી
![Before the Assembly Election, the Sharad Pawar group made a big demand to the Election Commission](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/SHARAD-PAWAR.webp)
મુંબઈઃ એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી અજિત પવાર છૂટા પડ્યા ત્યારબાદ આ પક્ષ બે ફાટામાં વહેંચાઇ ગયો અને એનસીપીનું ખરું ચૂંટણી ચિન્હ ઘડિયાળ અજિત પવાર જૂથના ફાળે ગયું ત્યારબાદ શરદ પવાર જૂથને તૂતારી એટલે કે ટ્રમ્પેટ વગાડતા વ્યક્તિનું ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી આ જ ચૂંટણી ચિન્હ પર શરદ પવાર જૂથે લડી હતી. જોકે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા આ ચૂંટણી ચિન્હ રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
શરદ પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ આ ચૂંટણી ચિન્હ રદ કરવાની માગણી કરી છે. ચૂંટણી પંચને પત્ર લખીને શરદ પવાર જૂથે આ માગણી તેમની સમક્ષ મૂકી હતી. શરદ પવાર જૂથ દ્વારા ભૂતકાળમાં પણ આ ચૂંટણી ચિન્હ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે
લોકસભાની ચૂંટણી પૂર્વે પણ આ પ્રકારની માગણી કરવામાં આવી હતી, જે ચૂંટણી પંચે રદ કરી દીધી હતી. ચૂંટણી પંચે અન્ય એક ચૂંટણી ચિન્હ ફક્ત તૂતારી છે જ્યારે શરદ પવાર જૂથને ફાળવવામાં આવેલું ચૂંટણી ચિન્હ તૂતારી વગાડતો વ્યક્તિ છે, એમ કહીને માગણી ફગાવી દીધી હતી.
જોકે, બંને ચૂંટણી ચિન્હમાં તૂતારી સમાન હોઇ તૂતારીનું ચૂંટણી ચિન્હ અન્ય કોઇને ફાળવવામાં ન આવે એવી માગણી શરદ પવાર જૂથે કરી છે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં મહારાષ્ટ્રની 10 લોકસભા બેઠકોમાંથી 9 બેઠકો વિશે વિગત આપવામાં આવી છે, જેમાં તૂતારી ચિન્હને કુલ 4.1 લાખ મત મળ્યા હતા. શરદ પવાર જૂથનું માનવું છે કે મતદારો તૂતારી વગાડતા વ્યક્તિના ચિન્હ અને તૂતારી વચ્ચે ભેદ ન કરી શકતા હોવાના કારણે તેમના ઉમેદવારોને નુકસાન થયું હતું.
સાતારામાં તૂતારીનું ચૂંટણી ચિન્હ મેળવનારા અપક્ષ ઉમેદવારને 37,000 મત મળ્યા હતા જ્યારે શરદ પવાર જૂથના શશિકાંત શિંદેને 5.38 લાખ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ઉદયનરાજે ભોંસલેને 5,71,134 મત મળ્યા હતા. એટલે કે ભાજપના ઉમેદવાર ફક્ત 31,771 જેટલા મતોથી જીત્યા હતા.
આ પ્રકારે નાના અંતરથી પોતાની હાર ચૂંટણી ચિન્હની અસમંજસના કારણે ન થાય એટલા માટે તૂતારીનું ચિન્હ અન્ય કોઇને ન ફાળવવાની માગણી શરદ પવાર જૂથ દ્વારા કરવામાં આવી છે