સ્થાપના દિવસઃ શરદ પવારે એનસીપીના ભાગલા મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?

મુંબઈ/પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન શરદ પવારે 10મી જૂનના 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. આજે એક નહીં બે એનસીપી છે, જેમાં એકનું નેતૃત્વ ખૂદ શરદ પવાર કરે છે, જ્યારે બીજાનું અજિત પવાર. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં બંને પાર્ટી એક થવાની અટકળોએ જોર પકડયું હતું, જ્યારે પાર્ટીના નજીકના વર્તુળોએ પણ એનસીપી એક થવાની ભલામણ કરી હતી.
પક્ષનું વિભાજન થાય એવું કલ્પનામાં વિચાર્યું નહોતું
પુણેમાં આયોજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે શરદ પવારે જણાવ્યું હતું કે, “ક્યારેય કલ્પના કરી નહોતી કે 26 વર્ષ પહેલા બનાવેલી પાર્ટીનું વિભાજન થશે, જે 2023માં જોવા મળ્યું હતું. પક્ષે અનેક પડકારોનો સામનો કર્યો, પરંતુ કાર્યકર્તાઓએ ક્યારેય હાર સ્વીકારી નથી અને પક્ષને મજબૂતાઈથી આગળ વધારતા રહ્યા. પક્ષના ભાગલા થયા, એ વિચાર્યું ન હતું. પરંતુ તે થયું. અમુક લોકો બીજી વિચારધારાઓ સાથે ચાલ્યા ગયા અને વિભાજન વધુ ગાઢ બન્યું. આજે હું એ અંગે વાત કરવા માંગતો નથી. પરંતુ જે લોકો અમારી સાથે ઊભા રહ્યા છે, તે અમારી મૂળ વિચારધારા અને સિદ્ધાંતોના કારણે જ રહ્યા છે. અમે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. અમારી સાથે જે વફાદાર મિત્રો છે, તે પક્ષની આત્મા છે. આગામી ચૂંટણીમાં જનતા જુદી તસવીર જોશે. અમે ફરી મજબૂત થઈને ઉભરીશું.”
એનસીપીના બંને જૂથો એક થવાની અટકળો
ગત વર્ષે મહારાષ્ટ્રમાં થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ NCPના બંને જૂથ એક થશે એવી અટકળો વહેતી થઈ હતી. બંને જૂથના કેટલાક નેતાઓ તેને જરૂરિયાત સમજે છે. શરદ પવારના જૂથ પાસે માત્ર 8 સાંસદ અને 10 ધારાસભ્યો છે. જો શરદ પવારે પોતાનું વર્ચસ્વ જમાવી રાખવું હોય તો આટલા સભ્યો સાથે આગામી ચૂંટણી લડવી સરળ રહેશે નહીં. શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેને તેમની ઉત્તરાધિકારી માનવામાં આવે છે. તેઓ સુપ્રિયા સુળેને રાજનીતિમાં વધારે મજબૂત કરવા ઈચ્છે છે. પરંતુ વિપક્ષમાં રહીને તે થવું સંભવ નથી. જેથી ફરી બંને જૂથ એક થઈ શકે તેવી સંભાવના છે.
27 વર્ષની ઉંમરે વિધાનસભ્ય તરીકે ચૂંટાયા
શરદ પવાર ભારતની રાજનીતિના જૂના ખેલાડી છે. 1967માં માત્ર 27 વર્ષની ઉંમરે તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારથી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. કૉંગ્રેસની સરકાર દરમિયાન તેઓ અનેક વખત કેન્દ્રીય પ્રધાન તો એક વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ બની ચૂક્યા છે. 1999માં જ્યારે 13મી લોકસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યારે કૉંગ્રેસે સોનિયા ગાંધીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા હતા. જેનો શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવરે વિરોધ કર્યો હતો, જેથી તેઓને CWCમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. શરદ પવારે પી.એ. સંગમા સાથે મળીને 10 જૂન 1999ના રોજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી.
2023માં થયા એનસીપીના ભાગલા
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે આજે પોતાના 26 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ બે વર્ષ પહેલા રાજકીય કૂટનીતિને કારણે NCPના ભાગલા પડી ગયા હતા. 2023માં શરદ પવારના ભત્રીજા અજિત પવારે શિવસેના-ભાજપના ગઠબંધન સાથે જોડાઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. અજિત પવાર NCPનું નામ અને ચિન્હ બંને લઈને ગયા હતા. ત્યારે શરદ પવારના જૂથને NCP (એસપી – શરદચંદ્ર પવાર) નામ આપવામાં આવ્યું હતું. આજે NCPના સ્થાપના દિવસ નિમિત્તે શરદ પવારે પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
આ પણ વાંચો - રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
બંને જૂથોનું એક થવું વિવાદ ઊભો કરશે
શરદ પવાર હંમેશા જાતિવાદી રાજનીતિથી દૂર રહ્યા છે, તેઓ કોઈ એક વિચારધારા કે પક્ષ સાથે સંપૂર્ણ રીતે જોડાતા નથી. તેઓ ભાજપ સાથે જશે એવું ઘણીવાર લાગ્યું છે, પરંતુ તેવું થયું નથી. તેઓ પોતાની રાજનીતિક ઓળખાણ ગુમાવવા ઈચ્છતા નથી. જો બંને જૂથ ભેગા થાય છે, તો શરદ પવારને અજિત પવારની વાત માનવી પડશે. હાલ તેઓની દીકરી સુપ્રિયા સુળે પક્ષની અધ્યક્ષ છે, જેથી પક્ષની લગામ કોને સોંપવી એ સવાલ ઊભો થઈ શકે છે. જે આખરે વિવાદનું કારણ બની શકે છે.
ભાજપ સાથે જોડાવવા નહીં ઈચ્છે શરદ પવાર
શરદ પવારનું એવું માનવું છે કે, હજુ પણ મહારાષ્ટ્રની જનતા ભાજપ સાથે નથી. તેથી આજની તારીખમાં પણ ભાજપ માટે એકલા હાથે ચૂંટણી લડવું અને જીતવું મુશ્કેલ છે. તેથી તેઓ અજિત પવારના માધ્યમથી પણ ભાજપ સાથે જોડાવા ઈચ્છશે નથી. આ કારણોસર શરદ પવાર પોતાના જૂથને અજિત પવારના જૂથ સાથે જોડશે એવું લાગતું નથી.