![Holding road show at accident site inhumane: Raut Sanjay Raut criticizes Prime Minister's road show](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/saamtv_2024-05_1037b4ff-ac5a-4d2e-97ba-b2c775539088_Untitled_design___2024_05_15T111326_061.webp)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઘાટકોપરમાં લોકસભાના પ્રચાર માટે પહેલો રોડ શૉ કર્યો ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે આ રોડ શૉની ટીકા કરી હતી. સંજય રાઉતે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વડા પ્રધાને મુંબઈમાં એ વિસ્તારમાં રોડ શૉ કર્યો જ્યાં હોર્ડિંગ તૂટી પડવાના કારણે 16 લોકોનાં મૃત્યુ થયા છે એ ખૂબ જ અમાનવીય ગણાય.
તેમણે રોડ શૉના કારણે લોકોને ભોગવવી પડેલી હાલાંકી વિશે વાત કરતા કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનો રોડ શૉ હોવાના કારણે મેટ્રો રેલ સેવા બુધવારે બપોરે બાર વાગ્યાથી બંધ કરી દેવામાં આવી હતી. કોઇ એક વ્યક્તિ પ્રચાર માટે આવવાના હોવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યો હોવાનું ક્યારેય બન્યું નથી જેનાથી લોકોને આટલી હાલાંકી ભોગવવી પડી હોય. હોર્ડિંગ તૂટી પડવાથી લોકોનાં મૃત્યું થયા હોય તેવા વિસ્તારમાં રોડ શૉ કરવો અમાનવીય ગણાય.
આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિરટોપ પહેરાવાતા વિવાદ
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરમાં આ અઠવાડિયે સોમવારે ઘાટકોપરમાં 120 ફૂટ પહોળું અને ઊંચું હોર્ડિંગ પેટ્રોલ પંપ પર તૂટી પડવાની ઘટનામાં 16 જણનાં મૃત્યું થયા હતા. આ હોર્ડિંગનો માલિક ભાવેશ ભિંડે આ ઘટના બાદ ફરાર થઇ ગયો છે અને પોલીસ તેને શોધવાના પ્રયત્નો કરી રહી છે. તેને પકડવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ભાવેશ ભિંડેને આ ઘટના બની તે પૂર્વે પણ 21 વખત પાલિકા દ્વારા ગેરકાયદે હોર્ડિંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.