સંજય રાઉત રાજકીય કમળાથી પીડાય છે, હું યોગ્ય દવા જાણું છું: ચંદ્રકાંત પાટીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત ‘રાજકીય કમળા’થી પીડાતા હોય તેવું લાગે છે કારણ કે તેમને દરેક વસ્તુમાં ખામીઓ દેખાય છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કહ્યુંં હતું કે, યોગ્ય સમયે તેમને યોગ્ય ‘દવા’ આપવામાં આવશે.
પાટીલે રવિવારે સાંગલીમાં મોદી સરકાર દ્વારા અગિયાર વર્ષમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો પર એક ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારો સાથે વાત કરી હતી. કટાક્ષના સ્પર્શ સાથે મરાઠી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા, ભાજપના નેતાએ કહ્યું હતું કે, ‘સંજય રાઉત બધું પીળું દેખાય છે. જ્યારે કોઈને કમળો થાય છે, ત્યારે બધું પીળું દેખાય છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ મહેનત કરી પણ….: ચંદ્રકાંત પાટીલે શું કહ્યું
તે રાજકીય કમળાથી પીડાતા હોય તેવું લાગે છે, કારણ કે તેઓ દરેક વસ્તુમાં ખામી શોધે છે. હું તેમની દવા જાણું છું અને હું તેમને યોગ્ય સમયે તે દવા આપીશ.’ ભાજપના સાંગલી શહેર એકમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.
મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતાં પાટીલે કહ્યું હતું કે મોદીએ છવીસ વર્ષ સુધી ઉચ્ચ પદ સંભાળીને – પંદર વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન અને અગિયાર વર્ષ સુધી વડા પ્રધાન તરીકે, એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે જેની વૈશ્ર્વિક સ્તરે કોઈ સરખામણી નથી.
તેમણે કહ્યું હતું કે પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોદી સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને ઘરો, એલપીજી કનેક્શન, નળના પાણીના જોડાણ, મફત અનાજ અને આરોગ્યસેવા પૂરી પાડી છે.
આપણ વાંચો: અબુ આઝમીને સસ્પેન્ડ કર્યા પછી ચંદ્રકાંત પાટીલ અને બેન્ચના સભ્યોએ શું કહ્યું?
શિવસેના (યુબીટી) સાથે પુન:મિલનની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેના આગામી રાજકીય પગલા વિશે પૂછવામાં આવતા, પાટીલે કહ્યું હતું કે રાજ ઠાકરે માટે આગાહી કરવી મુશ્કેલ છે.
‘તેઓ એક તોફાન જેવા છે. જેમ કોઈ તોફાનના માર્ગની આગાહી કરી શકતું નથી, તેમ કોઈ તેમના પગલાનો અંદાજ લગાવી શકતું નથી. પરંતુ આપણે ટૂંક સમયમાં જાણીશું કે આ તોફાન ક્યાં જશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતાઓ રાજ ઠાકરેને સંદેશ મોકલી રહ્યા હોવા છતાં મનસે વડા તાજેતરમાં મુંબઈની એક હોટલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા જેનાથી તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ હતી.
પીએમ મોદીના સમર્થકમાંથી ટીકાકાર બનેલા રાજ ઠાકરેએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિને મનસેનો ટેકો આપ્યો હતો.