મરાઠી ભાષાનું ‘અપમાન’ થઈ રહ્યું છે: રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મંગળવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ મુદ્દા પર શ્રેણીબદ્ધ બેઠકો યોજવાનું પગલું મરાઠી ભાષાનું ‘અપમાન’ છે. પત્રકારો સાથે વાત કરતા રાઉતે અગ્રણી મરાઠી સાહિત્યકારો અને હસ્તીઓના ‘મૌન’ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને એવો દાવો કર્યો કે તેમાંથી ઘણા સરકાર સાથેના જોડાણને કારણે આ મુદ્દે અવાજ ઉઠાવતા નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે અંગ્રેજી-માધ્યમની શાળાઓમાં કેબિનેટ પ્રધાનો અને સાહિત્યિક હસ્તીઓના બાળકો ભણતા હોવાથી તેમને મરાઠી ભાષાના સંરક્ષણ વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. રાઉતે સરકારની નીતિ અને આ મુદ્દા પર બેઠકો પર ટીકા કરી હતી.
આ પણ વાંચો: હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…
‘મહારાષ્ટ્રમાં હિન્દી શીખવા માટે દબાણ કરવાની કોઈ જરૂર નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શા માટે આગ્રહ કરી રહ્યા છે? તેઓ આની આડમાં કંઈક બીજું કરી રહ્યા છે,’ એમ સેના (યુબીટી) નેતાએ દાવો કર્યો હતો. ‘શું મુખ્ય પ્રધાન અને ડીસીએમે ક્યારેય મરાઠીના પ્રચાર માટે બેઠકો યોજી હતી? ફડણવીસ અને શિંદે મહારાષ્ટ્રના દુશ્મન છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
રાજ્યસભાના સભ્યએ આ વિવાદ પર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર વધુ નિશાન સાધ્યું હતું. ‘ગુજરાતમાં હિન્દી ફરજિયાત નથી. શું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેમાં ભાજપને પૂછવાની હિંમત છે કે મહારાષ્ટ્રની જેમ ત્યાં હિન્દી કેમ દબાણ કરવામાં આવી રહ્યું નથી?’ એમ તેમણે પૂછ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
સરકાર દ્વારા તાજેતરમાં ત્રણ ભાષા નીતિ અંગે થયેલી ચર્ચાઓ અંગે રાઉતે દાવો કર્યો હતો કે આ બેઠકોનો કોઈ અર્થ નથી.
‘સરકારે ફક્ત આદેશ જારી કરીને નિર્ણય પાછો ખેંચવાનો છે. તેઓ (શિંદેનો ઉલ્લેખ કરીને) ફક્ત વાતાવરણ બગાડી રહ્યા છે. વારંવાર આવી બેઠકો યોજવી એ મરાઠી ભાષાનું અપમાન છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા સાહિત્યિક હસ્તીઓ સાથે સલાહ લેવાના નિર્ણય વિશે પૂછવામાં આવતા, રાઉતે આ પગલાને ફગાવી દીધો. ‘સાહિત્યિક હસ્તીઓને મળવાની કોઈ જરૂર નથી. શું ફડણવીસ મહારાષ્ટ્રના 10 અગ્રણી સાહિત્યિક હસ્તીઓના નામ પણ જાણે છે? શું શિંદે પાંચ નામ પણ આપી શકે છે?’ એમ તેમણે પૂછ્યું હતું. મરાઠી સેલિબ્રિટીઓ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે દક્ષિણના અભિનેતા પ્રકાશ રાજે ત્રણ ભાષા નીતિ હેઠળ હિન્દી લાદવા સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો: મરાઠી, પાલી, આસામી અને બંગાળી ભાષાઓ સાથે પ્રાકૃત ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો; જાણો શું છે પ્રાકૃત ભાષા
‘નાના પાટેકર ક્યાં છે? પ્રશાંત દામલે ક્યાં છે? માધુરી દીક્ષિત ક્યાં છે? આપણા મરાઠી ક્રિકેટરો ક્યાં છે? મરાઠી લોકોએ તેમની સિદ્ધિઓને ટેકો આપ્યો છે અને ઉજવણી કરી છે, પરંતુ જ્યારે મરાઠી ભાષા પર હુમલો થવાની વાત આવે છે, ત્યારે તેઓ ચૂપ રહે છે,’ એમ તેમણે કહ્યું હતું.
રાઉતે દાવો કર્યો હતો કે સરકાર સાથેના તેમના જોડાણને કારણે ઘણી પ્રખ્યાત સાહિત્યિક હસ્તીઓ ચૂપ થઈ ગઈ છે.
‘સાહિત્યિક હસ્તીઓ વિશે અમને પ્રવચન ન આપો. તેમાંના નેવું ટકા લોકોને પુરસ્કારો અને સન્માનો મળ્યા છે અને સરકાર દ્વારા તેમના ઋણી રાખવામાં આવ્યા છે,’ એમ રાઉતે કહ્યું હતું.