
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેવ પાર્ટીના કેસમાં એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેના જમાઈની ધરપકડ થયાના બીજા દિવસે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગિરીશ મહાજનને કથિત હની ટ્રેપ કૌભાંડ સાથે જોડવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકરની ધરપકડને શંકાસ્પદ ગણાવી અને શાસક ભાજપની કરતા એવો આરોપ લગાવ્યો હતો કે તે રાજકીય હરીફોના પરિવારના સભ્યોને ‘લક્ષ્ય’ બનાવી રહી છે અને તેમને બદનામ કરી રહી છે.
તેમણે ખડસેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાનનું મોં બંધ કરવા માટે તેમના પર દબાણ લાવવાના હેતુથી આ કરવામાં આવ્યું છે. રવિવારે વહેલી સવારે પુણેના એક એપાર્ટમેન્ટમાં પોલીસે ‘રેવ પાર્ટી’ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી માદક દ્રવ્યો, હુક્કા સેટ અપ અને દારૂ જપ્ત કર્યાનો દાવો કર્યા પછી, એકનાથ ખડસેની પુત્રી રોહિણી ખડસેના પતિ પ્રાંજલ ખેવલકરની છ અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી.
રોહિણી ખડસે એનસીપી (એસપી) મહિલા પાંખના રાજ્ય એકમના વડા છે. ‘આખો મામલો શંકાસ્પદ છે,’ એમ રાઉતે કહ્યું હતું. ‘ખડસે છેલ્લા ત્રણ દિવસથી હની ટ્રેપ વિશે વાત કરી રહ્યા છે. તેઓ (રાજ્યના કેબિનેટ પ્રધાન) ગિરીશ મહાજનની આમાં સંડોવણી વિશે વાત કરી રહ્યા છે, પરંતુ તેની કોઈ તપાસ થઈ રહી નથી.
આપણ વાંચો: Prajwal Revanna ના ભાઇ સૂરજ રેવન્નાની પણ કાર્યકર્તાના યૌન શોષણ કેસમાં ધરપકડ
હવે જ્યારે ખડસે વાત કરી રહ્યા છે, ત્યારે તેમના જમાઈની ધરપકડ કરવામાં આવી છે,’ એમ રાજ્યસભાના સાંસદે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે, એવો દાવો પણ તેમણે કર્યો હતો.
તેમણે પોલીસ પર એવો પણ આરોપ લગાવ્યો કે તે ગુલામ બની ગઈ છે અને સરકાર વિરુદ્ધ બોલનારાઓને લક્ષ્ય બનાવી રહી છે. મહાજને તાજેતરમાં ખડસે પર એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ કથિત હનીટ્રેપ કૌભાંડના સંદર્ભમાં પાયાવિહોણા આરોપો લગાવીને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2020માં તત્કાલીન અવિભાજિત એનસીપીમાં જોડાવા માટે પાર્ટી છોડી દેનારા એક સમયના ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસે અને મહાજન વચ્ચેનો ઝઘડો નવો નથી. બંને જળગાંવ જિલ્લાના છે.
આપણ વાંચો: માલીવાલ કેસમાં કેજરીવાલ સામે તપાસ થવી જ જોઈએ
‘અમે એક સિદ્ધાંતનું પાલન કર્યું હતું કે પરિવારના સભ્યો (રાજકીય હરીફોના)ને ક્યારેય સતાવવામાં આવતા ન હતા. કમનસીબે, ભાજપના લોકો હવે પરિવારના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે, તેમને બદનામ કરી રહ્યા છે,’ એવો ગંભીર આરોપ રાઉતે લગાવ્યો હતો.
એનસીપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના જમાઈની એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ આવી જ ધરપકડ કરવામાં આવી હતી, એવું રાઉતે યાદ અપાવ્યું હતું.
રોહિણી ખડસેએ પતિનો પક્ષ લીધો
એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકરની ધરપકડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં આરોપો અને પ્રતિ-આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પ્રાંજલ ખેવલકર પર રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, હવે રોહિણી ખડસેએ તેમના પતિને ટેકો આપ્યો છે.
રોહિણી ખડસેએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પતિ સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે, તેણે સંદેશ આપ્યો છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. મને કાયદો અને પોલીસ વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે. સમય એ દરેક વસ્તુનો જવાબ આપશે. સત્ય યોગ્ય સમયે બહાર આવશે! જય મહારાષ્ટ્ર, એમ રોહિણી ખડસેએ આ પોસ્ટમાં કહ્યું છે.