રાષ્ટ્રવાદીના અજિત પવાર જૂથના મુંબઇ અધ્યક્ષ પદે સમીર ભુજબળ? આજે થશે સત્તાવાર જાહેરાત
![Sameer Bhujbal, newly appointed Mumbai NCP President](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Sameer-Bhujbal.webp)
મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના મુંબઇ અધ્યક્ષ પદે સમીર ભુજબળની નિમણૂંકની શકયતાઓ છે. આજે બપોરે ચાર વાગે ગરવારે ક્લબમાં બેઠક યોજીને સત્તાવાર રીતે જાહેરત થવાની શક્યતાઓ છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાનાર છે. જેમાં મુંબઇના અધ્યક્ષ પદે સમીર ભુજબળના નામ પર સિક્કો લાગી શકે છે.
નવાબ મલિક હેલ્થ ઇશ્યુસને કારણે બેઠકોમાં તથા પક્ષના કામો માટે ઉપસ્થિત રહી ન શકતા હોવાથી અજિત પવાર જૂથે મુંબઇ અધ્યક્ષના પદ માટે સમીર ભુજબળની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છગન ભુજબળના નજીકના ગણાતાં શિવાજીરાવ નલાવડે મુંબઇ અધ્યક્ષ પદ માટે ઇચ્છુક હતાં. જોકે આંતરિક વિરોધને કારણે અધ્યક્ષ પદ સમીર ભુડબળેને ફાળે જઇ રહ્યું હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
નવાબ મલીક ભલે જેલમાંથી બહાર આવ્યા છે પણ તેમનું સ્વાસ્થ્ય હજી સારું નથી. તેથી તેઓ પક્ષના કામ માટે કાયમ ઉપસ્થિત રહી શકે એમ નથી. તેથી મુંબઇ અધ્યક્ષ પદ કોઇ બીજાને સોંપવામાં આવે તેવી માંગણી કાર્યકર્તાઓ દ્વારા થઇ રહી હતી. આ પદ માટે શિવાજીરાવ નલાવડે અને પૂર્વ સાંસદ સમીર ભુજબળના નામની ચર્ચા થઇ રહી હતી. જોકે શિવાજીરાવ નલાવડેના નામ માટે પક્ષમાં ભારે વિરોધ હતો. તેથી હવે અધ્યક્ષ પદ સમીર ભુજબળને સોંપાશે તેવી જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.