‘મહાયુતિ’માં બેઠકો માટે ખેંચાખેંચીઃ આઠવલેએ કહ્યું અમારી આટલી છે માગણી…

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેઠકોની વહેંચણીની ચર્ચા અને ખેંચતાણ બંને શરૂ થયું છે ત્યારે મહાયુતિના ઘટક પક્ષ અને દલિતો હિતો માટે કામ કરતા પક્ષ ગણાતી આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે) દ્વારા 12 બેઠકની માગણી કરવામાં આવી છે.
આરપીઆઇના પ્રમુખ રામદાસ આઠવલેએ તે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 12 બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા કરવા માગતા હોવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે 18 બેઠક ચિન્હિત કરી છે અને થોડા દિવસોમાં મહાયુતિના અન્ય પક્ષો સાથે બેઠકોની વાટાઘાટો દરમિયાન અમને ઓછામાં ઓછી દસથી બાર બેઠક ફાળવવામાં આવશે તેવી અપેક્ષા છે.
અજિત પવારના કારણે પોતાને કરેલા વાયદાઓ પૂરા ન કરવામાં આવ્યો એવો દાવો કરતા આઠવલેએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે મહાયુતિમાં અજિત પવારને સામેલ કરવામાં આવ્યા હોવાથી અમને વાયદો કરવામાં આવ્યો હોવા છતાં પ્રધાનપદ આપવામાં આવ્યું નહોતું.
ત્રણેય પક્ષ આપે ચાર-ચાર બેઠકો: આઠવલે
આઠવલેએ જણાવ્યું હતું કે અમે વિદર્ભમાં ઉત્તર નાગપુર, ઉમરખેડ, ઉમરેડ અને વાશીમની બેઠકો ફાળવાય તેવી માગણી કરીશું. ભાજપ, એન્સીપી(અજિત પવાર) અને શિવસેના(એકનાથ શિંદે) આ ત્રણેય પક્ષ તેમના ભાગની ચાર-ચાર બેઠકો આરપીઆઇને આપે તેવી અપેક્ષા હોવાનું પણ આઠવલેએ જણાવ્યું હતું.