અકસ્માતમાં મૃત્યુ પામેલા શખ્સના પરિવારને 59.2 લાખ ચૂકવવાનો એમએસીટીનો આદેશ…

થાણે: છ વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખ્સના પરિવારજનોને 59.2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ મોટર વેહિકલ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો છે. સભ્ય એસ.એન. શાહની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલે અકસ્માતમાં ઘવાયેલી મૃતકની પત્નીને પણ 10 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
એમએસીટી દ્વારા 21 મેના અપાયેલા આદેશમાં જણાવાયું છે કે નો-ફોલ્ટ લાયબિલિટી સાથેનું વળતર સંયુક્ત રીતે અને સંપૂર્ણ રીતે ગુનો આચરનાર વાહનના માલિક અને વીમા કંપની દ્વારા ચૂકવવાનું રહેશે. દૂધનો પુરવઠાદાર નામદેવ નારાયણ ખારિક અને તેની પત્ની કમલાબાઇ 17 માર્ચ, 2019ના રોજ મોટરસાઇકલ પર મુંબઈ-નાશિક હાઇવે પરથી જઇ રહ્યાં હતાં ત્યારે કાર સાથે તેમની મોટરસાઇકલ અથડાઇ હતી.
પીડિત પરિવારનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ એસ.એમ. પવારે એમએસીટીને જણાવ્યું હતું કે એ સમયે 48 વર્ષના નામદેવની માસિક આવક 50 હજાર રૂપિયા હતી. નામદેવના પરિવારજનોએ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જે દર્શાવે છે કે તેમની પાસે ઘણી ભેંસ હતી.
કારનો માલિક સંદીપ શેંડગે એક પક્ષીય (પ્રક્રિયામાં ગેરહાજર) રહ્યો. વીમા કંપની ચોલામંડલમ એમએસ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડનું પ્રતિનિધિત્વ એડવોકેટ પી.ટી. સોનાર દ્વારા કરાયું હતું. તમામ રજૂઆતો સાંભળ્યા બાદ એમએસીટીએ આદેશ આપ્યો હતો કે પીડિતના પરિવારને અરજી દાખલ કર્યાની તારીખથી ચુકવણી થાય ત્યાં સુધી આઠ ટકા વ્યાજ સાથે 59.2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે, જ્યારે અકસ્માતમાં ઇજા પામેલી કમલાબાઇને પણ 10.5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. (પીટીઆઇ)
આપણ વાંચો : મુંબઈગરાની થયેલી હાલાકી માટે પખવાડિયું વહેલું આવેલો વરસાદ જવાબદાર:સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનરનો સ્પષ્ટ મત