રશ્મિ શુકલાની ડીજીપી તરીકેની નિમણૂકના કેસની ઝડપી સુનાવણીનો હાઇ કોર્ટનો ઇનકાર

મુંબઈ: મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે રશ્મી શુકલાની નિમણૂકને ગેરકાયદે અને મનભાનીભર્યો નિર્ણય ગણાવીને કરાયેલી જનહિત અરજી પર ઝડપી સુનાવણી કરવાનો બૉમ્બે હાઇ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો.
વકીલ પ્રતુલ ભદાલે દ્વારા કરાયેલી આ અરજીમાં વિધાનસભાની ચૂંટણી સુધી મહારાષ્ટ્રના ડીજીપી તરીકે આઇપીએસ અધિકારી સંજય વર્માની કરાયેલી ‘શરતી’ નિમણૂકને પણ પડકારવામાં આવી હતી તથા ચૂંટણી જેવા કટોકટીના સમયે સ્વતંત્ર અને સક્રીય રીતે કાર્ય કરવાની તેમની ક્ષમતા ન હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા રશ્મી શુકલાને પદ પરથી દૂર કરાયાના એક દિવસ બાદ પાંચમી નવેમ્બરે વર્માને મહારાષ્ટ્રના ડીજીપીનો પદભાર સોંપવામાં આવ્યો હતો.
સરકારી પરીપત્રમાં જણાવાયું હતું કે ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વર્મા ડીજીપીના પદ પર કાયમ રહેશે તથા આ સમયગાળા માટે શુકલાને ફરજિયાત રજા પર ઊતારી દેવામાં આલ્યા હતા. સોમવારે ભદાલેએ આ પ્રકરણે ઝડપી સુનાવણી કરવાની માગણી કરી હતી, પણ કોર્ટે આ મુદ્દે અરજદારના કાયકાદીય અધિકાર પર સવાલ ઊઠાવ્યો હતો.
‘જેની સાથે અન્યાય થયો છે એ પક્ષ કોણ છે? જે વ્યક્તિને હંગામી ધોરણે નિમવામાં આવી છે તેને આવવું જોઇએ. તે આવી નથી. આમાં જનહિતનું કયુ કારણ છે? અરજદારનો તેનાથી શું સંબંધ છે?’, એવા સવાલ કોર્ટે ઉઠાવ્યા હતા. જેઓને ગેરલાભ થયો છે તેની માટે જનહિત અરજી કરાય છે. જેમની નિમણૂક કરાઇ છે તેની અસર અરજદારને કઇ રીતે થઇ રહી છે?, એમ કોર્ટે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
અરજદાર જો શુકલાની નિમણૂકને જે પડકારવા ઇચ્છે છે તો તે ફેબ્રુઆરીમાં પણ આવું કરી શકે છે. તેમાં કોઇ ઉતાવળ નથી, એમ જણાવતા કોર્ટે ઝડપી સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કર્યો હતો.
(પીટીઆઇ)