રાજ-ફડણવીસની મુલાકાત બાદ શિરસાટે કહ્યું, મનસેએ અમારી સાથે આવવું જોઈએ, સેના (યુબીટી)નો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના કેબિનેટ સભ્ય સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સાથે હાથ મિલાવવો જોઈએ. તેમની આ ટિપ્પણીઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત બાદ આવી છે.
ફડણવીસે સવારે એક વૈભવી હોટલમાં રાજ ઠાકરેને મળ્યા હતા, જેનાથી રાજ્યમાં પાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપ અને મનસે વચ્ચે જોડાણની અટકળોને વેગ મળ્યો. આ મુલાકાત બે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ, રાજ અને ઉદ્ધવ, જે વિપક્ષી શિવસેના (યુબીટી)ના વડા છે, વચ્ચેના સંબંધોની ચર્ચા વચ્ચે થઈ.
આપણ વાંચો: વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ
‘રાજકારણમાં ઘણા યુ-ટર્ન જોવા મળે છે. રાજકારણમાં શું થઈ શકે છે તે અંગે કંઈ આગાહી કરી શકાતી નથી. પક્ષને મજબૂત કરવા અથવા તેનો વિસ્તાર કરવા માટે આવા જોડાણો કરવા પડે છે.
અમે રાજ સાહેબને પહેલા પણ (ગઠબંધનની) ઓફર આપી હતી અને તેમની અપીલ જોતાં, તેઓ પાલિકાની ચૂંટણીઓ ખૂબ સારી રીતે લડી શકે છે. તેમણે અમારી (મહાયુતિ) સાથે આવવું જોઈએ અને આ અમારી વિનંતી હશે,’ એમ શિરસાટે કહ્યું હતું. શાસક મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: શિવસેના (યુબીટી) અને ભાજપ એક થવાની કોઈ શક્યતા નથી: શિરસાટે કર્યો દાવો
ભાજપના કટ્ટર ટીકાકાર શિવસેના (યુબીટી)એ ફડણવીસ-રાજ ઠાકરેની બેઠક પર સાવચેતીભર્યો પ્રતિભાવ આપ્યો હતો.
(ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે) મુલાકાત કોઈપણ કારણોસર થઈ શકે છે.
બંને પક્ષો (સેના-યુબીટી અને મનસે) ના 90 ટકાથી 95 ટકા કાર્યકરો માને છે કે (તેમની વચ્ચે) ગઠબંધન હોવું જોઈએ, અત્યારે આ બેઠક પર ટિપ્પણી કરવી અકાળ ગણાશે,’ એમ શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું.