રાજ ઠાકરે માટે ઉદ્ધવ કે એકનાથ શિંદે કરતાં ભાજપ વધુ સારો વિકલ્પ
રાજકીય નિરીક્ષકોને મતે ભાજપ સાથે જવાથી મનસેનો વ્યાપ આખા રાજ્યમાં વધી શકે છે, જ્યારે ઉદ્ધવ અને એકનાથ શિંદે સાથે જવાથી મર્યાદિત શહેરોમાં રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અચાનક અને અણધારી મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે.
કારણ કે એક તરફ, જ્યારે કાર્યકરોમાં રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે રાજ અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે રાજકારણમાં ચર્ચાની દિશા જ બદલી નાખી છે.
પહેલાં રાજ-ઉદ્ધવ, પછી રાજ અને એકનાથ શિંદે વચ્ચે ગઠબંધનની ચર્ચા થઈ રહી હતી. જોકે ફડણવીસની મુલાકાત બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન માટે અનુકૂળ છે.
આપણ વાંચો: મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ રાજ ઠાકરેએ મનસેના નેતાઓની બેઠક બોલાવી હતી. મુંબઈ, થાણે અને પાલઘરના શહેર પ્રમુખો અને નાયબ શહેર પ્રમુખોને રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠક માટે અન્ય ઘણા નેતાઓ પણ પહોંચ્યા હતા.
રાજ ઠાકરેએ હાલમાં તેમના પક્ષના બધા જ નેતાઓને જાહેરમાં કોઈ ટિપ્પણી ન કરવાનો આદેશ આપ્યો હોવાથી તેઓ બોલતા નથી. અત્યારે જમીન પરના વાસ્તવિક વાતાવરણ અને ચાલી રહેલી ચર્ચાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ ઠાકરે પોતે મનસેના નેતાઓ સાથે પણ એવી ચર્ચા કરી રહ્યા છે કે જો તેઓ ભાજપ સાથે ગઠબંધન કરે તો તેની શું અસર થઈ શકે છે.
રાજ્યવ્યાપી સમીકરણ માટે ભાજપ સાથે અનુકૂળ?
રાજ ઠાકરે ભાજપમાં જોડાવા માટે કેમ અનુકૂળ હોઈ શકે છે તેના કેટલાક કારણો આપવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વનું કારણ એ છે કે જો રાજ ઠાકરે ભાજપ સાથે ગઠબંધન કરે, તો ફક્ત મુંબઈ જ નહીં, પણ થાણે, નાશિક, પુણે સહિત રાજ્યભરની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સમીકરણો બદલી શકે છે.
ગઠબંધન કરીને, રાજ ઠાકરેને બેઠકો અને લડવા માટે તાકાત મળશે. લાંબા ગાળાના રાજકારણના ભાગ રૂપે રાજ ઠાકરે ભાજપ માટે અનુકૂળ હોઈ શકે છે.
તેની તુલનામાં જો તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કરે છે, તો મનસેને શિવસેનાની વર્તમાન તાકાત અને મુંબઈ અને થાણે સિવાય બાકીની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સંખ્યાત્મક તાકાતનો ફાયદો થવાની શક્યતા ઓછી છે. બીજી તરફ, જો તેઓ એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરે તો પણ આ જ ફોર્મ્યુલા લાગુ પડે છે.
રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પક્ષોનૂં મૂળ બાળાસાહેબ ઠાકરેમાં હોવા છતાં, ઉદ્ધવ ઠાકરે અથવા એકનાથ શિંદે સાથે જોડાણ કરીને મર્યાદિત ભાગીદાર રહેવાને બદલે, રાષ્ટ્રીય પક્ષ ભાજપ સાથે જોડાણ બનાવી શકે છે અને મનસેના વિસ્તરણ માટે એક મજબૂત પક્ષ બની શકે છે. તેથી જ રાજ ઠાકરે ભાજપ સાથે જોડાણ માટે અનુકૂળ હોઈ શકે છે, એવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.
મનસે નેતાઓની બેઠક
રાજ ઠાકરેના નિવાસસ્થાને મનસે નેતાઓની બેઠક યોજાઈ હતી. મનસે નેતા સંદીપ દેશપાંડે શિવતીર્થ પહોંચ્યા હતા. અગાઉ સંદીપ દેશપાંડે અને અમેય ખોપકર એકનાથ શિંદેને મળવા માટે એકનાથ શિંદેના વિશ્ર્વાસુ ઉદય સામંતના ઘરે પહોંચ્યા હતા, પરંતુ એકનાથ શિંદેને મળી શક્યા નહીં. પનવેલમાં ફૂલ બજાર શરૂ થવાનું છે. આ માટે, હું ઉદય સામંતને મળ્યો. એમ બંને નેતાઓએ કહ્યું હતું કે હાલમાં જોડાણ અંગે કોઈ ચર્ચા થઈ નથી.