રાહુલ નાર્વેકરનો ઉદ્ધવ ઠાકરે પર પલટવાર
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નિશાન બનાવ્યા ત્યારબાદ હવે રાહુલ નાર્વેકરે પણ ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેના પર પલટવાર કર્યો છે.
તેમણે ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેમાં સાહસ હોય તો તે શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિધાનસભ્યોની અયોગ્યતા અંગેની અરજીના ફેંસલામાં શું ગેરકાયદેસર હતું તે બતાવી દેખાડે. ઉલ્લેખનીય છે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ નાર્વેકરને પક્ષ પલટા વિરોધી કાયદાની સમીક્ષા કરનારી સમિતિના પ્રમુખ બનાવ્યા હતા, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ નાર્વેકરની ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ આ ફેંસલાને લોકશાહી ખતમ કરવાની દિશામાં પગલું ગણાવ્યું હતું. જ્યારે ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ નાર્વેકરની મજાક ઉડાવતા કહ્યું હતું કે નાર્વેકરને પાંચ વર્ષના સમયગાળામાં ત્રણ પક્ષોમાં સામેલ થવાનો અનુભવ છે એટલે તેમને આ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા જીતેન્દ્ર આહ્વાડે પણ નાર્વેકરને આ સમિતિના પ્રમુખ બનાવવાના ફેંસલાની આલોચના કરી હતી. નોંધનીય છે કે રાહુલ નાર્વેકરે પોતાના ફેંસલામાં એકનાથ શિંદે જૂથની શિવસેનાને ખરી શિવસેના ગણાવી હતી. જેનાથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝાટકો લાગ્યો હતો.