જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા અંગે સતત સવાલોે ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (24 જૂન) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઘેર્યા હતા અને મહારાષ્ટ્રમાં મતદાનમાં મોટા પાયે ગોટાળાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પોતાના મતવિસ્તારમાં મતદારોની સંખ્યામાં માત્ર પાંચ મહિનામાં આઠ ટકાનો વધારો થયો હતો.
આ પછી મુખ્ય પ્રધાને પોતે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ‘જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌવે સે ડરિયો’. તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી, હું સહમત છું કે મહારાષ્ટ્રમાં કારમી હારનું તમારું દુ:ખ દિવસેને દિવસે વધી રહ્યું છે, પણ તમે ક્યાં સુધી હવામાં તીર છોડતા રહેશો?’ રાહુલ ગાંધીએ એકસ પર લખ્યું હતું કે, ‘બાય ધ વે, તમારી માહિતી માટે, મહારાષ્ટ્રમાં 25થી વધુ મતવિસ્તાર છે જ્યાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે 8 ટકાથી વધુ મતદારો વધ્યા છે અને કોંગ્રેસ ઘણી જગ્યાએ જીતી છે.’
મુખ્ય પ્રધાને આ વિસ્તારોનો કર્યો ઉલ્લેખ
મુખ્ય પ્રધાને એમ કહ્યું હતું કે, ‘મારા નાગપુરના દક્ષિણ-પશ્ચિમ મતવિસ્તાર પશ્ચિમ નાગપુર મતવિસ્તારમાં, 7 ટકા મતદાર (27,065) વધ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે ત્યાંથી ચૂંટણી જીતી ગયા હતા. ઉત્તર નાગપુરમાં 7 ટકા (29,348) મતદાર વધ્યા અને કોંગ્રેસના નીતિન રાઉત જીત્યા. પુણે જિલ્લામાં, વડગાંવ શેરીમાં, 10 ટકા (50,911) મતદાર વધ્યા અને શરદ પવાર જૂથના બાપુસાહેબ પાઠારે જીત્યા, મલાડ પશ્ર્ચિમમાં 11 ટકા (38,625) મતદાર વધ્યા અને તમારા કોંગ્રેસ પક્ષના અસલમ શેખ જીત્યા. મુમ્બ્રામાં મતદારોમાં 9 ટકા (46,041)નો વધારો થયો અને શરદ પવાર જૂથના જીતેન્દ્ર આવ્હાડ જીત્યા.’
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ ટ્વિટ કરતા પહેલા જો તેમણે પોતાના જ પક્ષના જૂના સાથીદારો જેમ કે અસલમ શેખ, વિકાસ ઠાકરે, નીતિન રાઉત, સાથી પક્ષો સાથે વાત કરી હોત તો વધુ સારું થાત. ઓછામાં ઓછું કોંગ્રેસમાં સંવાદનો અભાવ આટલો ખરાબ રીતે છતો ન થયો હોત…’
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પોતાના મતવિસ્તારમાં મતદાર યાદીમાં માત્ર પાંચ મહિનામાં 8 ટકાનો વધારો થયો હતો. કેટલાક બૂથ પર 20-50 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએલઓએ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મતદાન થયાની જાણ કરી હતી. મીડિયાએ હજારો મતદારોને ચકાસાયેલ સરનામાં વિના ખુલ્લા પાડ્યા હતા અને ચૂંટણીપંચ? મૌન – અથવા ભાગીદાર! આ કોઈ અલગ અલગ ગેરરીતિઓ નથી. આ મતોની ચોરી છે. છુપાવવું એ એક કબૂલાત છે.’