રાહુલ ગાંધી સામે આરએસએસના કાર્યકરનો માનહાનિનો કેસ…

મુખ્ય સાક્ષીદાર હાજર ન થતાં સુનાવણી 20 ડિસેમ્બર સુધી મોકૂફ રખાઇ
થાણે: થાણે જિલ્લાની ભિવંડીની કોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર દ્વારા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ ફોજદારી માનહાનિના કેસમાં શનિવારે મુખ્ય સાક્ષીદાર હાજર ન રહી શકતાં સુનાવણી 20 ડિસેમ્બર પર મોકૂફ રાખી હતી.
રાહુલ ગાંધીના કાઉન્સેલ એડવોકેટ નારાયણ ઐયરે જણાવ્યું હતું કે હાલ સોલાપુરના બારશી ખાતે ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અશોક સાયકર અંગત કારણોસર હાજર રહી શક્યા નહોતા. તેમની જુબાની હવે 29 ડિસેમ્બરે નોંધાઇ શકે છે.
સાયકરની જુબાનીને મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે તેમણે 2014માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ 202 હેઠળ ખાનગી માનહાનિના મામલામાં પ્રાથમિક તપાસ કરી હતી.
સાયકર દ્વારા રજૂ કરાયેલા અહેવાલને આધારે કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 500 હેઠળ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યા હતા. ભિવંડી નજીક 6 માર્ચ, 2016ના રોજ ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ બાદ આરએસએસના સ્થાનિક કાર્યકર રાજેશ કુંટેએ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
‘આરએસએસના લોકોએ (મહાત્મા) ગાંધીની હત્યા કરી,’ એવા કૉંગ્રેસના નેતાના કથિત નિવેદન બાદ કેસ દાખલ કરાયો હતો.આ કેસની સુનાવણી ભિવંડી જોઇન્ટ સિવિલ જજ, જુનિયર ડિવિઝન, પી.એમ. કોલસે દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. (પીટીઆઇ)



