અટલ સેતુમાં તિરાડને લઈને ગરમાયું રાજકારણ! કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
![Politics heated up regarding the crack in Atal Setu! Congress has made allegations of corruption](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/crack-in-Atal-Setu.webp)
મુંબઈ: હાલ મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજને લઈને ભારે ગરમાયું છે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (MTHL)એટલે કે અટલ સેતુને લઈને એવી અફવા ફેલાઈ રહી છે કે પુલમાં તિરાડો પડી ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે અટલ બ્રિજની જુલકટ લઈને સોશીયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે “આ ખૂબ જ ચિંતાજનક છે કે જે અટલ સેતુ પુલનું ઉદ્ઘાટન માત્ર ત્રણ મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં તિરાડો પડી ગઇ છે.
પટોલે દ્વારા કરવામાં આવેલી પોસ્ટનો રદિયો આપતા મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (MMRDA)એ સ્પષ્ટીકરણ આપ્યું હતું. MMRDAની તરફ થી કહેવામાં આવ્યું હતું કે “અમને જાણવા મળ્યું છે કે અટલ સેતુ પુલના મુખ્ય ભાગમાં કોઈ તિરાડો નથી, પરંતુ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો. અટલ સેતુ પુલને જોડતા એપ્રોચ રોડ પર સામાન્ય તિરાડો જોવા મળી છે. અને તે ફૂટપાથ મુખ્ય પુલનો ભાગ નથી, પરંતુ બ્રિજને જોડતો સર્વિસ રોડ છે. અને એ પણ જાણવું જરૂરી બની રહે છે કે આ તિરાડો પ્રોજેક્ટના રચનાત્મક દોષોને લીધે નથી અને આથી પુલને કોઈ મોટો ખતરો પણ નથી.
આ પણ વાંચો : સોલાપુરમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ: જાનહાનિ નહીં
પટોલેએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મોટી સંખ્યામાં તિરાડોના કારણે મુસાફરોમાં ભય પેદા કરે છે. બિહારમાં નવા બનેલા પુલ તૂટી પડવાની ઘટના હમણાંની જ છે, પરંતુ સરકારની કામગીરી પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે મુંબઈમાં પણ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, મેં મારા સાથીઓ સાથે કોંગ્રેસ પાર્ટીના આંદોલનના ભાગરૂપે સરકારની ભ્રષ્ટ કામગીરીને ઉજાગર કરવા માટે આ પુલનું નિરીક્ષણ કર્યું હતું અને આ બાબત ખૂબ જ ગંભીર છે, અમે માંગ કરીએ છીએ કે હાઈકોર્ટ તેની તાત્કાલિક નોંધ લે અને મામલાની તપાસ કરે.”
MMRDAએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે 20 જૂન, 2024ના રોજ ઓપરેશન અને મેન્ટેનન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન રેમ્પ 5 (મુંબઈ તરફના રેમ્પ) પર ત્રણ સ્થળોએ રોડની નજીકના રસ્તાની સપાટી પર નાની તિરાડો જોવા મળી હતી. આ તિરાડો નાની છે અને રસ્તાની બાજુમાં આવેલી છે. જે 24 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી વાહનવ્યવહારમાં કોઈ અડચણ ઉભી કર્યા વિના કરવામાં આવી રહી છે. અટલ સેતુ ભારતનો સૌથી મોટો પુલ છે.
અટલ સેતુ પરની તિરાડ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓને જવાબ આપ્યો હતો. સોશિયલ મીડિયા એક્સ (અગાઉના ટવિટર) પર લખીને કહ્યું હતું કે અટલ સેતુ પર કોઈ તિરાડ પડી નથી અને આ પુલ પર કોઈ જોખમ ઊભું થયું નથી. વાઈરલ તસવીરો એપ્રોચ રોડની છે. અટલ સેતુ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમનેસામને આવી ગઈ છે. કોંગ્રેસ અસત્યના આશરો લઈ રહી છે. ચૂંટણીમાં બંધારણમાં ફેરફારનો મુદ્દો, ચૂંટણી પછી ફોનથી ઈવીએમ અનલોક અને હવે આ પ્રકારની વાતો ફેલાવી રહી છે. દેશની જનતા આ તિરાડવાળી યોજના અને કોંગ્રેસની ભ્રષ્ટ નીતિને હરાવશે, એમ ફડણવીસે જણાવ્યું હતું.