Yashshree Murder Case: પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો લગાવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

Yashshree Murder Case: પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો લગાવ્યા

નવી મુંબઈના ઉરણમાં 20 વર્ષીય યુવતી યશશ્રીની કથિત હત્યાના કેસમાં પોલીસે આરોપી સામે એસસી/એસટી એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપો ઉમેર્યા છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ કેસના આરોપી દાઉદ શેખની મંગળવારે સવારે પડોશી કર્ણાટકના ગુલબર્ગાના શાહપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

કર્ણાટકમાંથી આરોપી દાઉદ શેખની ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે રાત્રે તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો હતો. તે હાલમાં બેલાપુરમાં પોલીસની કસ્ટડીમાં છે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું. આરોપીને એક દિવસ પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પોલીસે હવે શેખ સામે નોંધાયેલા હત્યાના કેસમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ આરોપો ઉમેર્યા છે.”

25 જુલાઇના રોજ યશશ્રીના માતા-પિતાએ ગુમ થયેલ વ્યક્તિનો રિપોર્ટ નોંધાવ્યા પછી શનિવારની વહેલી સવારે યશશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી હતી કે પીડિતાનું મોત છરાના અનેક ઘાને કારણે થયું હતું, એમ પોલીસે અગાઉ જણાવ્યું હતું.

ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 હેઠળ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને શોધવા માટે આઠ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે શરૂઆતમાં કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી, જેમણે આપેલી માહિતી તેમને શેખ સુધી દોરી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા કેટલાક સમયથી ઉરણમાં રહેતો હતો, પરંતુ પીડિતાના પિતાએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તે કર્ણાટક જતો રહ્યો હતો અને તેની સામે 2019માં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપી દાઉદ પાડોશી રાજ્ય કર્ણાટકમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને પીડિતાની સાથે સતત સંપર્કમાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું. બંને વચ્ચે ઉગ્ર દલીલ થયા બાદ દાઉદે યશશ્રીની હત્યા કરી હોઇ શકે છે, પરંતુ ગુના પાછળના ચોક્કસ હેતુની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે કહ્યું છે.

Also Read –

Back to top button