પીએમ મોદીના વિકાસકાર્યો હિમાલય જેવા અને કોંગ્રેસના કાર્યો ટેકરી જેવાઃ એકનાથ શિંદે
![Eknath Shinde said this about the project of the country's largest hawala operator of 800 crores](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/Maharashtra-Chief-Minister-Eknath-Shinde-addresses-July2022-pti.jpg)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ સંભાજીનગર ખાતે મહાયુતિના ઉમેદવાર માટે પ્રચાર કરતા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે ઉપર ટીકાસ્ત્રો છોડી તેમને રંગ બદલનારા કાચિંડા સમાન ગણાવ્યા હતા.
શિવસેનાના ઉમેદવાર સાંદિપન ભુમરે માટે પ્રચાર કરતા વખતે શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોની હિમાલયની ઊંચાઇ સમાન જ્યારે કૉંગ્રેસે કરેલા કાર્યોને ટેકરી સમાન ગણાવ્યા હતા. શિંદેએ કહ્યું હતું કે છેલ્લાં દસ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો હિમાલયના શિખર જેવા છે જ્યારે કૉંગ્રેસે કરેલા કાર્યો ટેકરી જેવા છે.
આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા શિંદેએ ઉદ્ધવ ઠાકરેની એક ઑડિયો ક્લીપ વગાડી હતી, જેમાં ઉદ્ધવ નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા હતા. આ ક્લીપ પૂરી થયા બાદ શિંદેએ જણાવ્યું હતું કે પહેલા તો આ લોકો નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નહોતા. જોકે, કાચિંડો રંગ બદલે છે, પરંતુ મેં કોઇ કાચિંડાને આટલી ઝડપથી રંગ બદલતા ક્યારેય નથી જોયો.
પોતે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરતા હોવા બાબતે વિપક્ષ દ્વારા કરવામાં આવતી ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે મારે જો મહાબલેશ્વર નજીક મારા ગામમાં જવું હોય તો આઠ કલાક સામાન્ય રીતે લાગે. હું તે આઠ કલાકમાં 10,000 ફાઇલ ઉપર હસ્તાક્ષર કરી શકું.
કૉંગ્રેસે બહાર પાડેલા ચૂંટણી ઢંઢેરા(મેનિફેસ્ટો) વિશે શિંદેએ કહ્યું હતું કે કૉંગ્રેસને મેનિફેસ્ટો બહાર પાડવાનો કોઇ હક્ક નથી. મેનિફેસ્ટો બહાર પાડતા પહેલા તેમણે કરેલા કાર્યો બદલ તેમણે માફીનામું બહાર પાડવું જોઇએ.