મસ્કતથી મુંબઈ આવતી ફ્લાઈટમાં સ્મોકિંગ કરનારા પ્રવાસી વિરુદ્ધ ગુનો

મુંબઈ: મસ્કતથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના ટૉઈલેટમાં સ્મોકિંગ કરવા બદલ 51 વર્ષના પ્રવાસી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે મુંબઈ આવવા મસ્કતથી ટેકઑફ્ફ થયેલી વિસ્તારાની યુકે234 ફ્લાઈટમાં બની હતી. તમિળનાડુના ક્ધયાકુમારીમાં રહેતો બાળકૃષ્ણ રાજાયન ઍરક્રાફ્ટના પાછલા ભાગમાં આવેલા ટૉઈલેટમાં ગયો હતો અને સિગારેટ ફૂંકવા લાગ્યો હતો.
સ્મોક ડિટેક્ટરને કારણે વિમાનના પાઈલટનું ધ્યાન જતાં ઘટના સામે આવી હતી. પાઈલટે તાત્કાલિક ક્રૂ મેમ્બરને આ અંગે જાણ કરી હતી. ક્રૂ મેમ્બરે ટૉઈલેટમાં તપાસ કરતાં વૉશ બેસિનમાંથી સિગારેટનું ઠૂંઠું મળી આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઈટ મંગળવારની સવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચી ત્યારે ક્રૂ મેમ્બરે પ્રવાસીના આવા વર્તન અંગે સિક્યોરિટી સુપરવાઈઝરને જાણ કરી હતી. સિક્યોરિટી અધિકારીએ કરેલી પૂછપરછમાં રાજાયને સ્મોકિંગની કબૂલાત કરી હતી. તેણે સિગારેટ સળગાવવા ઉપયોગમાં લીધેલી માચીસ પણ અધિકારીને સોંપી હતી.
રાજાયનને સહાર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો, જ્યાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 336 અને ઍરક્રાફ્ટ રુલ્સની કલમ 25 હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)