પાર્ટીના સ્થાપના દિવસ પર શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસૈનિકોની સરખામણી કપિલ દેવ સાથે કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ ગુરુવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે લખેલા એક ખુલ્લા પત્રમાં એવો દાવો કર્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ કીચડવાળું થઈ ગયું છે અને વફાદારી ખરીદવા માટે ‘પ્રલોભનોના બજારો’ ઉભા કરવામાં આવ્યા છે.
ક્રિકેટને રાજકારણ સાથે જોડતું અને શિવસૈનિકોના પ્રયાસોની પ્રશંસા કરતું ખૂબ જ રસપ્રદ નિવેદન આપતા, દાનવેએ 1983ના વર્લ્ડ કપમાં ભારત-ઝિમ્બાબ્વે મેચ દરમિયાન ઓલરાઉન્ડર કપિલ દેવની 175 રનની સુપ્રસિદ્ધ ઇનિંગનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ દરેક શિવસૈનિકમાં તેમના લડાયક ભાવના માટે જાણીતા આઇકોનિક ક્રિકેટરને જુએ છે.
દાનવેએ કોઈનું નામ લીધા વિના ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનો શિવસેના જૂથ પાર્ટીના સ્થાપક બાલ ઠાકરેના વારસાનો દાવો કરી શકે નહીં.
આજની પરિસ્થિતિમાં બાળ ઠાકરેના ‘80 ટકા સામાજકારણ અને 20 ટકા રાજકારણ’ના મંત્રનું પાલન કરવાની જરૂર છે, રાજ્ય વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતાએ પક્ષના કાર્યકરોને સંબોધિત પત્રમાં જણાવ્યું હતું, જે તેમણે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો.
વધુમાં દાનવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં રાજકારણ કાદવ-કીચડવાળું થઈ ગયું છે. વફાદારી ખરીદવા માટે પ્રલોભનોના બજારો ઉભા કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ટકી રહેવા માટે 80 ટકા સામાજિક કાર્યો માટે અને 20 ટકા રાજકારણ માટે કામ કરવાના સિદ્ધાંતનું પાલન કરવાની જરૂર છે.’
તેમણે એમ પણ કહ્યું કે ‘આપણી આસપાસ હજારો સમસ્યાઓ છે જે અમને લડવા માટે પ્રોત્સાહિત કરશે,’ એમ એમએલસીએ કહ્યું. 1966માં સ્થપાયેલી શિવસેના 1995માં પહેલી વખત સત્તામાં આવી હતી.
‘હવે સત્તામાં પાછા આવવામાં આપણે આટલો સમય નહીં લઈએ. અમે જાહેર મુદ્દાઓ ઉઠાવીશું અને તેમના માટે લડીશું,’ એમ તેમણે પત્રમાં કહ્યું હતું.
દાનવે યાદ કર્યું હતું કે 18 જૂન 1983ના રોજ (શિવસેનાની વર્ષગાંઠના એક દિવસ પહેલા) ભારત-ઝિમ્બાબ્વે ક્રિકેટ વર્લ્ડ કપ મેચ દરમિયાન કપિલ દેવે ભારતીય ટીમને વિજય અપાવ્યો હતો જ્યારે કોઈએ તે શક્ય વિચાર્યું ન હતું.
આ પણ વાંચો - મુંબઈ ભાજપનું જન સંપર્ક અભિયાન: પાલિકા ચૂંટણી પહેલા એક વ્યૂહાત્મક પગલું
‘હું દરેક શિવસૈનિકમાં કપિલ દેવ જોઉં છું. આપણી હિંમત આપણી તાકાત છે, અને તે ડગમગવી જોઈએ નહીં. ઠાકરે પિતા-પુત્ર (ઉદ્ધવ અને તેમના પુત્ર આદિત્યનો ઉલ્લેખ કરતા) મજબૂત રીતે ઉભા છે, અને આપણે તેમની સાથે ઉભા રહેવું જોઈએ,’ એવો નિષ્કર્ષ તેમણે કાઢ્યો હતો.