પિતરાઈ ભાઈઓની સંયુક્ત રેલી ‘જેહાદી અને હિન્દુ વિરોધી મેળાવડો’: ભાજપના પ્રધાન…

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ મુંબઈમાં ઠાકરે પિતરાઈ ભાઈઓ – ઉદ્ધવ અને રાજ – ની સંયુક્ત રેલી પર પ્રહારો કર્યા હતા અને તેને સમાજને વિભાજીત કરવા અને રાજ્યને નબળું પાડવાના હેતુથી ‘જેહાદી અને હિન્દુ વિરોધી મેળાવડો’ ગણાવ્યો હતો.
રેલીના એક દિવસ પહેલા શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા રાણેએ કહ્યું હતું કે, ‘અમે હિન્દુ છીએ અને ગર્વથી મરાઠી પણ છીએ. જે રીતે જેહાદીઓ આપણા સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરે છે, આ લોકો પણ એ જ કરી રહ્યા છે. પછી ભલે તે (પ્રતિબંધિત) પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) હોય કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી) હોય, જે હિન્દુ રાષ્ટ્રના વિચાર વિરુદ્ધ કામ કરે છે, આ બંને (ઠાકરે) અલગ નથી. તેઓ રાજ્યને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
ઠાકરે પરિવારની સંયુક્ત રેલી અંગે, ભાજપના નેતાએ કહ્યું હતું કે, ‘વરલી સભાનો હેતુ હિન્દુઓ અને મરાઠી લોકોને વિભાજીત કરવાનો છે. તેને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ), પીએફઆઈ અથવા સીમીની રેલીઓ સાથે સરખાવી શકાય છે. તેનાથી રાજ્યમાં હિન્દુઓને સૌથી વધુ નુકસાન થશે. રેલી પછી નળ બજારમાં (મુંબઈમાં મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર) મીઠાઈઓ વહેંચવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે.’
‘આ એક હિન્દુ વિરોધી રેલી છે,’ એમ મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ મંત્રીએ કહ્યું. રાણે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર છે, જે ઉદ્ધવ ઠાકરેના વિરોધી હતા.
આ પણ વાંચો : વિજય રેલી નહીં, રૂદાલી સભા હતી! રાજ-ઉદ્ધવના મિલન પર દેવેન્દ્ર ફડણવીસે કર્યો વળતો પ્રહાર