પાકિસ્તાનનાં 39 કન્ટેઈનર ન્હાવા શેવા બંદરેથી જપ્ત…
પહલગામના આતંકી હુમલા બાદ ભારત દ્વારા પ્રતિબંધ છતાં પાકિસ્તાનથી આયાત કરનારી કંપનીના ભાગીદારની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહલગામના આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનથી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે માલસામાન આયાત કરવા પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં પાકિસ્તાનથી સામાનની આયાત કરવામાં આવતી હોવાની માહિતીને આધારે ડિરક્ટરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) ‘ઑપરેશન ડીપ મેનિફેસ્ટ’ હાથ ધર્યું હતું. ડીઆરઆઈએ નવી મુંબઈના ન્હાવા શેવા બંદરે મૂળ પાકિસ્તાનનાં 39 ક્ન્ટેઈનર જપ્ત કરી આયાતકાર કંપનીના ભાગીદારની ધરપકડ કરી હતી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક ભારતીય પર્યટકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના પછી ભારત સરકારે પાકિસ્તાનમાંથી સામાનની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અગાઉ આવા માલ પર 200 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગુ થતી હતી.
પ્રતિબંધ છતાં અમુક આયાતકારો સરકારી આદેશને નેવે મૂકી સામાનના ઉત્પાદનના મૂળ સ્થાનની ખોટી નોંધ કરીને અને સંબંધિત શિપિંગ દસ્તાવેજો સાથે ચેડાં કરીને પાકિસ્તાનથી માલની આયાત કરતા હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે બે અલગ અલગ કેસમાં ડીઆરઆઈએ ન્હાવા શેવા પોર્ટ પર 39 ક્ન્ટેઈનર જપ્ત કર્યા હતા, જેમાં અંદાજે નવ કરોડ રૂપિયાનો 1,115 મેટ્રિક ટન સામાન હોવાનું જાણવા મળ્યું હતું.
આ કન્સાઈન્મેન્ટ પાકિસ્તાની મૂળનાં હોવા છતાં તે દુબઈના હોવાનું ખોટી રીતે જાહેર કરાયું હતું. જોકે તપાસમાં આ માલ પાકિસ્તાનનો જ હોવાનું સિદ્ધ થયું હતું, જે દુબઈ થઈને ભારત લાવવામાં આવ્યો હતો