આમચી મુંબઈ

એનસીપીના સ્થાપના દિવસના કાર્યક્રમો માટે તૈયારી વચ્ચે પુન:મિલનની ચર્ચા પર સ્પષ્ટતાની અપેક્ષા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના હરીફ જૂથો 10 જૂને પુણેમાં પુન:મિલન કરે એવી અટકળોની પૃષ્ઠભૂમિમાં અલગ અલગ સ્થાપના દિવસ મેળાવડા યોજશે, જોકે બંને પક્ષોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ટોચના નેતાઓ વચ્ચે વારંવાર બેઠકો થઈ રહી હોવા છતાં ટેબલ પર આવો કોઈ પ્રસ્તાવ નથી.

NCP Foundation Day

એનસીપી (એસપી)ના પ્રમુખ જયંત પાટીલે એવી સ્પષ્ટતા કરી હતી કે બંને જૂથોના એકસાથે આવવાની વાત ‘ફક્ત હવામાં’ છે અને સંભવિત પુન:મિલન અંગે કોઈ ચર્ચા થઈ નથી. જયંત પાટીલે કહ્યું હતું કે, ‘10 જૂને અમે અમારી પાર્ટીના સ્થાપનાના 26મા વર્ષની ઉજવણી કરીશું. આજે અમારો સ્થાપના દિવસ છે અને બંને જૂથો વચ્ચે પુન:મિલનની કોઈ ઔપચારિક વાતચીત નથી. ચર્ચા ફક્ત હવામાં છે. ‘પણ મને લાગે છે કે સ્થાપના દિવસના કાર્યક્રમ પછી આ મુદ્દા પર સ્પષ્ટતા થવાની શક્યતા છે.’

‘પવાર સાહેબ (એનસીપી-એસપીના પ્રમુખ શરદ પવાર) ઉપરાંત ચારથી પાંચ અગ્રણી પદાધિકારીઓ સભામાં બોલશે,’ એમ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાને માહિતી આપી હતી. શરદ પવાર સવારે સમારોહમાં વિપક્ષના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધિત કરશે અને શાસક એનસીપીના વડા અજિત પવાર સાંજે પુણેમાં તેમના જૂથના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

રાજ્ય એનસીપીના પ્રમુખ સુનીલ તટકરેએ પણ એવી સ્પષ્ટતા કરી હતી કે બંને જૂથો વચ્ચે વિલીનીકરણ કે જોડાણ અંગે કોઈ પ્રસ્તાવ કે ચર્ચા થઈ નથી. જાહેર અને ખાનગી કાર્યક્રમોમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવાર વચ્ચે વારંવાર થતી મુલાકાતોએ જુલાઈ 2023માં પક્ષમાં વિભાજન પછી જૂથો ફરી એક થવાની અટકળોને વેગ આપ્યો છે.

એનસીપી અને એનસીપી (એસપી) બંનેએ તેમના સ્થાપના દિવસની ઉજવણી માટે પવાર પરિવારના ગૃહ પ્રદેશ પુણેને પસંદ કર્યું છે. શરદ પવાર શિવાજીનગરમાં બાલ ગંધર્વ રંગ મંદિર ખાતે પોતાના સમર્થકોને સંબોધિત કરશે, જ્યારે અજિત પવાર બાલેવાડીમાં શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પોતાના પક્ષના કાર્યક્રમમાં ભાષણ આપશે.

રાજકીય નિરીક્ષકોના મતે પક્ષના કાર્યકરો ટોચના નેતૃત્વ પાસેથી પોતાના જૂથો માટે સ્પષ્ટતા અને ભવિષ્યના રોડમેપની અપેક્ષા રાખી રહ્યા છે. કોંગ્રેસ નેતા શરદ પવાર, પી. એ. સંગમા અને તારિક અનવરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યા બાદ 10 જૂન, 1999ના રોજ એનસીપીની સ્થાપના કરી હતી. સંગમા હવે રહ્યા નથી, પરંતુ અનવર કોંગ્રેસમાં પાછા ફર્યા છે. એનસીપીએ બાદમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવી, જ્યાં તેઓ સતત ત્રણ મુદત (1999-2014) સુધી સત્તામાં રહ્યા હતા.

2019માં એનસીપી અને કોંગ્રેસે સંયુક્ત શિવસેના સાથે હાથ મિલાવ્યો અને મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર બનાવી, જે જૂન 2022માં તૂટી પડી હતી. 2023માં તે સમયે વિરોધ પક્ષમાં રહેલા અજિત પવાર, એનસીપીના બહુમતી વિધાનસભ્યો સાથે શાસક ભાજપ-શિવસેનાની યુતિમાં જોડાઈ ગયા અને નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. 2024ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી અને અજિત પવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પ્રધાનમંડળમાં તેમના બીજા નાયબ તરીકે જોડાયા હતા.

આ વર્ષના અંતમાં વિલંબિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની સંભાવના હોવાથી, વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય મેળવનાર શાસક મહાયુતિ ગઠબંધન અને ગયા વર્ષે નવેમ્બરમાં ભારે હારનો સામનો કરનાર વિપક્ષી એમવીએ માટે ઘણું જોખમ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં એનસીપી (એસપી)એ મહારાષ્ટ્રમાં સારું પ્રદર્શન કર્યું, તેણે લડેલી 10 લોકસભા બેઠકોમાંથી આઠ જીતી. બીજી તરફ, શાસક ગઠબંધન ભાગીદાર એનસીપીએ ફક્ત એક બેઠક જીતી હતી.
છ મહિના પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાગ્યમાં પલટો આવ્યો, જેમાં એનસીપીએ 288 સભ્યોની વિધાનસભામાં 41 બેઠકો જીતી અને એનસીપી (એસપી)ને ફક્ત 10 બેઠકો મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button