જો એનસીપી એકીકરણનો મુદ્દો ઉભો થશે, તો ભાજપ સાથે વાત કરવી પડશે: તટકરે…

છત્રપતિ સંભાજીનગર/જાલના: એનસીપીના સિનિયર નેતા સુનીલ તટકરેએ શુક્રવારે અહીં જણાવ્યું હતું કે જો હરીફ શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથ સાથે વિલીનીકરણની શક્યતાઓ ઊભી થાય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ભાજપની સાથે સલાહ-મસલત કરવી પડશે.
અત્યાર સુધી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી અને હરીફ એનસીપી (એસપી)ના એકસાથે આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.‘(એકીકરણ અંગે) કોઈ ચર્ચા ચાલી રહી નથી. પરંતુ અમે જાહેર ઠરાવ પસાર કર્યો છે કે અમે એનડીએ સાથે જ રહીશું. જે લોકોને આ સ્વીકાર્ય છે તેઓ અમારી સાથે જોડાશે, એમ તેમણે કહ્યું હતું.
‘અમારા મુખ્ય જૂથમાં પણ એકીકરણ અંગે કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય અને એક સાથે આવવાનો સમય આવે, ત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કરવી પડશે, કારણ કે ભાજપનું ટોચનું નેતૃત્વ અમને તેમની સાથે લઈ ગયું હતું. તેમની સાથે સલાહ-મસલત કરવી સ્વાભાવિક છે,’ એમ તટકરેએ કહ્યું હતું.
જાલનામાં બોલતા, તટકરેએ ગુરુવારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે વિધાનસભા સંકુલમાં થયેલી મારામારીની નિંદા કરી હતી.