દાઉદ સાથે જોડાયેલો પીએમએલએ કેસ: નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત ફર્મની ડિસ્ચાર્જ અરજી ફગાવી

મુંબઈ: મુંબઈની એક વિશેષ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત રિયલ એસ્ટેટ કંપનીને મની લોન્ડરિંગ કેસમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપો ઘડવા માટે ‘રેકોર્ડ પર પૂરતી સામગ્રી’ છે.
મલિક અને તેના સંબંધીઓ સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવે છે, જેનું નામ ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં છે.
આ પણ વાંચો : દાઉદ ઇબ્રાહિમના નજીકના સાગરિત દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ, ડ્રગ્સ સિન્ડીકેટ ચલાવાનો આરોપ…
મલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કેસમાંથી મુક્તિ માગતા એવો દાવો કર્યો હતો કે તેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો કેસ ‘અનુમાન અને અંદાજ પર આધારિત છે.’
સાંસદો/ધારાસભ્યોના કેસ માટેના ખાસ ન્યાયાધીશ સત્યનારાયણ નવાંદરે 11 નવેમ્બરના રોજ અરજી ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે “એ સ્પષ્ટ છે કે નવાબ મલિકે, ડી-કંપનીના સભ્યો હસીના પારકર, સલીમ પટેલ અને આરોપી સરદાર ખાન સાથે મળીને, ગેરકાયદેસર રીતે હડપ કરેલી મિલકતના લોન્ડરિંગમાં ભાગ લીધો હતો’, જે ‘ગુનાની આવક’ દર્શાવે છે.
આ પણ વાંચો : દાઉદનો ભાઇ ઇકબાલ ખંડણી કેસમાં દોષ-મુક્ત
ગુરુવારે ઉપલબ્ધ કરાયેલા આદેશમાં જણાવાયું છે કે મિલકત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જપ્ત કરવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે, ‘બધા આરોપીઓ સામે આરોપો ઘડવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે.’



